android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
29 August Top News: PM મોદીનો વિદેશ પ્રવાસ, રાષ્ટ્રીય રમતગમત દિવસ અને દેશ-દુનિયાના મહત્ત્વના સમાચાર

calendar_todayAugust 28, 2026

29 August Top News: PM મોદીનો વિદેશ પ્રવાસ, રાષ્ટ્રીય રમતગમત દિવસ અને દેશ-દુનિયાના મહત્ત્વના સમાચાર

29 ઓગસ્ટનો દિવસ દેશ અને દુનિયા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 ઓગસ્ટથી મધ્ય એશિયાના પ્રવાસે જઈ રહ્યા છે. દેશભરમાં મેજર ધ્યાનચંદની યાદમાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી થઈ રહી છે. આ ઉપરાંત, રાજકારણ, સ્થાનિક પ્રશ્નો, હવામાન અને ટ્રેન સેવાઓને લગતા મહત્વના સમાચાર સામે આવ્યા છે.

PM મોદીની મધ્ય એશિયાઈ દેશોની મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન ઉઝબેકિસ્તાન અને કિરગિઝ રિપબ્લિકના પ્રવાસે રહેશે. 29-30 ઓગસ્ટ દરમિયાન તેઓ ઉઝબેકિસ્તાનમાં દ્વિપક્ષિય વાટાઘાટો કરશે અને 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન કિરગિઝ રિપબ્લિકમાં યોજાનારા 26મા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલનમાં ભાગ લેશે.

દિલ્હીમાં ભાજપ યુવા મોરચાની મહત્વની બેઠક

યુવાનોના મુદ્દાઓ સમજીને સંગઠનને મજબૂત કરવા ભાજપ અધ્યક્ષ નિતિન નવીન દિલ્હીમાં 29 ઓગસ્ટના રોજ બેઠક યોજશે. દેશભરમાંથી 45 ભાજપ નેતાઓને બોલાવવામાં આવ્યા છે, જેમાં દરેક રાજ્યમાંથી 2 થી 3 પ્રતિનિધિઓ અને યુવા મોરચાના અધ્યક્ષ હેમાંગ ભાઈ પણ સામેલ થશે. 29 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે ભાજપ મુખ્યાલયે યોજાનારી આ બેઠકમાં યુવા કલ્યાણ પર ચર્ચા થશે.

સોનિયા ગાંધી વિરુદ્ધની અરજી પર નિર્ણય

નાગરિકતા મેળવતા પહેલા જ વોટર ID કાર્ડ બનાવડાવવાના ગંભીર આરોપ સંદર્ભે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સામે FIR દાખલ કરવાની માંગણી કરતી અરજી પર દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટ પોતાનો મહત્વપૂર્ણ ચુકાદો 29 ઓગસ્ટના રોજ સંભળાવશે.

રાષ્ટ્રીય રમતગમત દિવસ અને 'એક કલાક રમતના મેદાનમાં' ઝુંબેશ

29 ઓગસ્ટના રોજ મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં આવે છે. ખેલ મંત્રી મનસુખ માંડવિયા દિલ્હીના ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે 'એક કલાક રમતના મેદાનમાં' કાર્યક્રમનો પ્રારંભ કરાવશે અને મહાન હોકી ખેલાડીને શ્રદ્ધાસુમન અર્પણ કરશે.

લખનૌમાં ફ્રેગ્રન્સ પાર્કનું ઉદ્ઘાટન

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 29 ઓગસ્ટના રોજ લખનૌમાં ફ્રેગ્રન્સ પાર્ક અને સાંસ્કૃતિક કલા કેન્દ્રનું લોકાર્પણ કરશે. LDA દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પાર્કમાં 200થી વધુ સુગંધિત છોડ, પ્રતિમાઓ, બાળકો માટે ઝૂલા અને કેફેની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે

સીએમ યોગી આદિત્યનાથનો દેવરિયા અને બલિયા પ્રવાસ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 29 ઓગસ્ટના રોજ દેવરિયા અને બલિયાની મુલાકાત લેશે. બલિયામાં તેઓ જાહેર સભાને સંબોધિત કરશે અને પૂર પીડિતોને રાહત સામગ્રીનું વિતરણ કરશે.

ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન

પૂર્વ VC નીરજા ગુપ્તા દ્વારા થયેલા કૌભાંડ મામલે ગુજરાત યુનિવર્સિટીને અપાયેલ 72 કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ થવા છતાં કોઈ કમિટી કે કાર્યવાહી ન થતાં 29 ઓગસ્ટ ઉગ્ર રજૂઆત સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીની અંતિમ યાદી

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં 5 બેઠકો પર મતદાન યોજાશે, જ્યારે બાકીની બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. 29 ઓગસ્ટના રોજ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

ભરૂચથી સમરસ કાવડ યાત્રાનો પ્રારંભ

અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના દ્વારા ભરૂચ જિલ્લામાં 29 ઓગસ્ટથી બીજી ભવ્ય સમરસ કાવડ યાત્રા શરૂ થશે. 108 કાવડ સાથે નીકળેલી આ યાત્રા ત્રીજા દિવસે જંબુસરના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ પહોંચી રુદ્રાભિષેક કરશે.  

નર્મદામાં જંગલ જમીનના ધરણા અંગે મંત્રીઓની બેઠક

સાબગારામાં 21 દિવસથી જંગલ જમીન માટે ચાલી રહેલા ખેડૂતોના ધરણાંનો અંત લાવવા મંત્રી ઈશ્વર પટેલ અને મંત્રી પ્રવીણ માળી 29 ઓગસ્ટે ખેડૂતોને મળશે. પુરાવાના આધારે જમીન ફાળવવાની ખાતરી સાથે સીધી ચર્ચા હાથ ધરાશે.

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર 29 ઓગસ્ટે ઉત્તર-પૂર્વ રાજ્યો જેવા કે અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ તેમજ બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની શક્યતા છે. ઓડિશામાં અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર અમૃત ભારત એક્સપ્રેસ શરૂ

મુસાફરોની સુવિધા માટે બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત બની છે. 29 ઓગસ્ટ 2026થી આ ટ્રેન અમૃત ભારત સાપ્તાહિક એક્સપ્રેસ તરીકે દર શનિવારે રાત્રે 9.45 વાગ્યે બાંદ્રાથી ઉપડશે.

સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનું સમાપન

પ્રકૃતિ અને સંસ્કૃતિના સંગમ સમાન સાપુતારા ખાતે યોજાયેલા મોન્સૂન ફેસ્ટિવલનું 29 ઓગસ્ટના રોજ વિધિવત સમાપન થઈ રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય પરમાણુ પરીક્ષણ વિરોધી દિવસ

પરમાણુ શસ્ત્રોના પરીક્ષણોની હાનિકારક અસરો પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને વિશ્વને શસ્ત્રમુક્ત કરવા માટે દર વર્ષે 29 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે. UNGA દ્વારા 2 ડિસેમ્બર 2009ના રોજ આ અંગેનો ઠરાવ પસાર કરાયો હતો.

મેજર ધ્યાનચંદની યાદમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ  

ભારતમાં દર વર્ષે 29 ઓગસ્ટના રોજ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં આવે છે. દેશને ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ અપાવનાર આ મહાન ખેલાડીનો જન્મ 29 ઓગસ્ટ 1905ના રોજ પ્રયાગરાજ ખાતે થયો હતો.  

29 ઓગસ્ટની ઐતિહાસિક ઘટનાઓ

  • 1612 - સુરતના યુદ્ધમાં અંગ્રેજોએ પોર્ટુગીઝોને પરાજય આપ્યો.
  • 1833 - બ્રિટિશ ગુલામ નાબૂદી ખરડો વિધિવત કાયદો બન્યો.
  • 1842 - બ્રિટન અને ચીન વચ્ચે નાનકિંગની સંધિ થતાં પ્રથમ અફીણ યુદ્ધ સમાપ્ત થયું.
  • 1914 - ન્યુઝીલેન્ડના સૈનિકોએ જર્મન સમોઆ પર કબજો મેળવ્યો.
  • 1916 - અમેરિકન કોંગ્રેસે જોન્સ એક્ટ મંજૂર કરી ફિલિપાઈન્સને સ્વતંત્રતા આપી.
  • 1932 - નેધરલેન્ડના એમ્સ્ટરડેમમાં આંતરરાષ્ટ્રીય યુદ્ધ વિરોધી સમિતિની રચના થઈ.
  • 1941 - રશિયામાં જર્મન દળો દ્વારા 1469 યહૂદી બાળકોની હત્યા કરાઈ.
  • 1945 - બ્રિટિશ સેનાએ હોંગકોંગને જાપાની શાસનમાંથી મુક્ત કરાવ્યું.
  • 1957 - યુએસ કોંગ્રેસે નાગરિક અધિકાર અધિનિયમ, 1957 પસાર કર્યો.
  • 1974 - ચૌધરી ચરણ સિંહની અધ્યક્ષતામાં લોકદળ પાર્ટીની સ્થાપના થઈ.
  • 1987 - કર્નલ રાબુકાએ ફિજીને પ્રજાસત્તાક દેશ જાહેર કર્યો.
  • 1996 - આર્ક્ટિકના સ્પિટ્સબર્ગેનમાં વનુકોવો એરલાઇન્સ પ્લેન ક્રેશ થતાં 141 લોકોના મોત થયા.
  • 1998 - ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરાયા.
  • 1999 - બાંગ્લાદેશના સાંસદ કાદિર સિદ્દીકી (ટાઇગર સિદ્દીકી) એ સંસદમાંથી રાજીનામું આપ્યું.
  • 2000 - ન્યૂયોર્કમાં ચાર દિવસીય વિશ્વ શાંતિ સંમેલનનો પ્રારંભ થયો.
  • 2001 - જાપાને 'H-2A' રોકેટનું સફળ પ્રક્ષેપણ કર્યું; પશ્ચિમ એશિયામાં હિંસા ભડકી.
  • 2002 - પાકિસ્તાન ચૂંટણી પંચે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનું ઉમેદવારી પત્ર સ્વીકાર્યું.
  • 2003 - ઈરાકના નજફમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં શિયા નેતા સહિત 75 લોકોના મોત થયા.
  • 2004 - એથેન્સ ઓલિમ્પિક્સ રમતોત્સવનું સત્તાવાર સમાપન થયું.
  • 2008 - ટાટા મોટર્સે સિંગુરમાંથી નેનો પ્રોજેક્ટ સાઈટ પરથી કર્મચારીઓને પાછા ખેંચ્યા; શિબુ સોરેને ઝારખંડમાં બહુમતી સાબિત કરી.
  • 2012 - ચીનની કોલસાની ખાણમાં વિસ્ફોટ થતાં 26 શ્રમિકોના મોત થયા.

29 ઓગસ્ટના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • 1887 - જીવરાજ મહેતા - ભારતના અગ્રણી તબીબ અને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી.
  • 1905 - મેજર ધ્યાનચંદ - ભારતના મહાન હોકી ખેલાડી ('હોકીના જાદુગર').
  • 1925 - ગોલપ બોરબોરા - આસામ રાજ્યના છઠ્ઠા મુખ્યમંત્રી.
  • 1926 - રામકૃષ્ણ હેગડે - જનતા પાર્ટીના નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી.
  • 1949 - કે.કે. રાધાકૃષ્ણન - ભારતના અગ્રણી વૈજ્ઞાનિક.
  • 1968 - બિક્રમજીત કંવરપાલ - બોલિવૂડ અને ટીવી અભિનેતા.
  • 1969 - મેજર મનોજ તલવાર - ભારતીય સેનાના દેશભક્ત સૈનિક.
  • 1977 - પી.વી. મિધુન રેડ્ડી - આંધ્રપ્રદેશના YSR કોંગ્રેસના નેતા.
  • 1980 - માધવ શ્રીહરિ અણે - ભારતના સ્વાતંત્ર્ય સેનાની.

29 ઓગસ્ટના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

  • 1931 - જાડોનાંગ - નાગા ચળવળના યુવાન અને પ્રભાવશાળી નેતા.
  • 952 - સિસ્ટર યુપ્રાસિયા - ભારતીય ખ્રિસ્તી મહિલા સંત.
  • 1956 - મલિક ગુલામ મોહમ્મદ - પાકિસ્તાનના ત્રીજા ગવર્નર જનરલ.
  • 1976 - કાઝી નઝરુલ ઇસ્લામ - પ્રખ્યાત બંગાળી કવિ અને સંગીતકાર.
  • 1999 - સુધીર કુમાર વાલિયા - ભારતીય સેનાના વીર સૈનિક.
  • 2001 - મનુભાઈ પંચોલી ('દર્શક') - ગુજરાતી ભાષાના પ્રખ્યાત નવલકથાકાર, લેખક અને શિક્ષણશાસ્ત્રી.
  • 2007 - બનારસી દાસ ગુપ્તા - હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને સ્વતંત્રતા સેનાની.


આ પણ વાંચો - Bollywood: કૃતિ સેનન બાદ સેલીના જેટલીના રક્ષાબંધન લૂક પર બબાલ, ડીપનેક બ્લાઉઝ પહેરતા થઈ ટ્રોલ