android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
3 September Top News: 3 સપ્ટેમ્બરના રોજ બનનારી મહત્વની ઘટનાઓ

calendar_todaySeptember 2, 2026

3 September Top News: 3 સપ્ટેમ્બરના રોજ બનનારી મહત્વની ઘટનાઓ

3 સપ્ટેમ્બરનો દિવસ દેશ અને વિદેશની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ રહેવાનો છે. એક તરફ બેલ્જિયમના વડાપ્રધાનનો ભારત પ્રવાસ અને એસ. જયશંકરની વિદેશ યાત્રાથી વૈશ્વિક સંબંધો મજબૂત થશે, તો બીજી તરફ દિલ્હીમાં મેક્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન અને ભાજપની ખાસ બેઠક યોજાશે.

3 સપ્ટેમ્બરના રોજ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે FLY91ના નવા ઓર્ડર અને સીબીડીટી સાથેની બેઠક આર્થિક-ઔદ્યોગિક વિકાસને વેગ આપશે. આ ઉપરાંત, ભાવનગરમાં અગ્નિવીર ભરતી રેલીથી યુવાનોને રોજગારીની તક મળશે તથા BSPની બેઠક રાજકીય ગરમાવો લાવશે. આ સાથે આજનો દિવસ 'રાષ્ટ્રીય ગગનચુંબી ઇમારત દિવસ' તરીકે ઉજવાય છે.

બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવરનો ભારત પ્રવાસ

બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર ભારતની અધિકૃત મુલાકાતે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન 3 સપ્ટેમ્બરના રોજ સવારે 11:10 વાગ્યે રાજઘાટ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે અને ત્યારબાદ 11:30 વાગ્યે હૈદરાબાદ હાઉસ ખાતે ભારતના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે. બપોરે 12:55 વાગ્યે બંને દેશો વચ્ચે વિવિધ MoU પર હસ્તાક્ષર થશે અને સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ જાહેર કરાશે. સાંજે 16:30 વાગ્યે તેઓ હયાત રીજન્સી ખાતે આયોજિત CIIના કાર્યક્રમમાં હાજરી આપશે.

દિલ્હીમાં મેક્સ સ્માર્ટ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 11:00 વાગ્યે દિલ્હીના સાકેત ખાતે નવનિર્મિત મેક્સ સ્માર્ટ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. આ નવીનતમ હોસ્પિટલથી રાજધાની અને આસપાસના વિસ્તારોના લોકોને આધુનિક અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બનશે.

જળ સુરક્ષા મુદ્દે દિલ્હીમાં ભાજપની મહત્વની બેઠક

દિલ્હી ખાતે નિતિન નવીનની અધ્યક્ષતામાં ભાજપની ખાસ બેઠક યોજાશે, જેમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને જળ મંત્રીઓ ભાગ લેશે. ગુજરાતના જળ મંત્રી ઈશ્વર સિંહ પટેલ પણ આ બેઠકમાં ખાસ હાજરી આપશે. દેશમાં જળ સુરક્ષા અને વોટર મેનેજમેન્ટની વ્યવસ્થા મજબૂત કરવાના હેતુથી આ વિશિષ્ટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરનો યુક્રેન અને પોલેન્ડ પ્રવાસ

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર 3 થી 5 સપ્ટેમ્બર દરમિયાન યુક્રેન અને પોલેન્ડની સત્તાવાર યાત્રાએ રહેશે. આ પ્રવાસ દરમિયાન તેઓ યુક્રેનના વિદેશ મંત્રી આંદ્રી સિબિહા અને પોલેન્ડના નાયબ વડાપ્રધાન રાડોસ્લાવ સિકોર્સ્કી સાથે ખાસ મુલાકાત કરશે અને દ્વિપક્ષીય સંબંધો તેમજ વૈશ્વિક રાજકીય સ્થિતિ અંગે ચર્ચા કરશે.

ડાયરેક્ટ ટેક્સ રિફોર્મ પર સંસદીય સમિતિની બેઠક

સંસદની નાણાકીય સ્થાયી સમિતિ દ્વારા ડાયરેક્ટ ટેક્સ રિફોર્મ્સ પર એક અગત્યની બેઠક 3 સપ્ટેમ્બરના રોજ બોલાવવામાં આવી છે. આ બેઠકમાં નાણા મંત્રાલય અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે અને દેશની કર વ્યવસ્થાને વધુ સરળ અને પારદર્શક બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા હાથ ધરાશે.

એવિએશન સેક્ટરમાં FLY91નો મોટો વિમાન ઓર્ડર

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ નવી દિલ્હીના ઉડાન ભવન ખાતે FLY91 એરલાઇન દ્વારા ATR 72-600 વિમાનોના મોટા ઓર્ડર સાઇનિંગ સમારોહમાં હાજરી આપશે. 3 સપ્ટેમ્બરના રોજ બપોરે 3:00 વાગ્યે યોજાનારા આ કાર્યક્રમમાં એવિએશન ક્ષેત્રના અગ્રણી અધિકારીઓ હાજર રહેશે, જેનાથી દેશના પ્રાદેશિક એર કનેક્ટિવિટીને વેગ મળશે.

યુપી વિધાનસભા ચૂંટણી સંદર્ભે BSPની મહત્વની બેઠક

ઉત્તર પ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓના ભાગરૂપે બહુજન સમાજ પાર્ટી (BSP) દ્વારા એક વિશેષ કેડર બેઠકનું આયોજન 3 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું છે. આ બેઠકને બસપા સુપ્રીમો માયાવતી સંબોધિત કરશે અને પક્ષના પદાધિકારીઓને ચૂંટણી વ્યૂહરચના અને સંસ્થાકીય કામગીરી અંગે માર્ગદર્શન આપશે.

ભાવનગરમાં અગ્નિવીર આર્મી ભરતી રેલીનો પ્રારંભ

જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા 3 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર દરમિયાન સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ભાવનગર ખાતે અગ્નિપથ યોજના હેઠળ આર્મી ભરતી રેલી યોજાશે. જેમાં સૌરાષ્ટ્રના 13 જિલ્લાઓ અને દીવના ઉમેદવારો ભાગ લેશે. 3 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગર જિલ્લાના ઉમેદવારો માટે 'અગ્નિવીર જનરલ ડ્યુટી' શ્રેણીની શારીરિક કસોટી યોજાશે.

રાષ્ટ્રીય ગગનચુંબી ઇમારત દિવસ

દર વર્ષે 3 સપ્ટેમ્બરના રોજ 'રાષ્ટ્રીય ગગનચુંબી ઇમારત દિવસ' ઉજવવામાં આવે છે. આ દિવસ આધુનિક આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગની સિદ્ધિઓને બિરદાવવા માટે ઉજવાય છે. આ દિવસ પ્રખ્યાત ડિઝાઇનર લુઇસ એચ. સુલિવાનની જયંતિ (જન્મ: 3 સપ્ટેમ્બર 1856) ની યાદમાં મનાવવામાં આવે છે, જેમણે 1885માં શિકાગો ખાતે વિશ્વની પ્રથમ 10 માળની (137 ફૂટ) ગગનચુંબી ઇમારત બનાવી હતી.

3 સપ્ટેમ્બરની ઐતિહાસિક ઘટનાઓ

  • 1783 - અમેરિકા અને બ્રિટન વચ્ચે પેરિસની સંધિ થતાં ક્રાંતિકારી યુદ્ધનો અંત આવ્યો.
  • 1833 - અમેરિકામાં બેન્જામિન એચ. ડે દ્વારા પ્રથમ સફળ અખબાર 'ન્યૂયોર્ક સન' શરુ કરાયું.
  • 1939 - બ્રિટન અને ફ્રાન્સ દ્વારા જર્મની સામે યુદ્ધની ઘોષણા સાથે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ.
  • 1943 - બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સાથી દેશોએ ઈટાલી પર આક્રમણ કર્યું.
  • 1971 - કતાર એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યું.
  • 1984 - દક્ષિણ ફિલિપાઈન્સમાં ભીષણ વાવાઝોડાને કારણે આશરે 1300 લોકોના મોત થયા.
  • 1998 - NAM સમિટમાં નેલ્સન મંડેલાએ કાશ્મીર મુદ્દો ઉઠાવતા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ વિરોધ નોંધાવ્યો.
  • 2003 - પાકિસ્તાન સરકારે પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો સામે રાજદ્રોહનો કેસ ચલાવવાનો નિર્ણય લીધો.
  • 2004 - રશિયન સૈનિકોએ શાળાને અપહરણકર્તાઓથી મુક્ત કરાવી.
  • 2006 - યુરોપનું પ્રથમ 3 વર્ષનું ચંદ્ર મિશન સમાપ્ત થયું; ભરત જગદેવે ગુયાનાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.
  • 2007 - ચીનમાં 160 મિલિયન વર્ષ જૂના પ્રાણીના દાંત મળ્યા; બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાની ધરપકડ થઈ.
  • 2008 - રાજેન્દ્ર કુમાર પચૌરી UNની સંસ્થા IPCC ના વડા તરીકે ફરી ચૂંટાયા.
  • 2009 - આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય. એસ. રાજશેખર રેડ્ડીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું.
  • 2014 - ભારત અને પાકિસ્તાનમાં અચાનક આવેલ પૂરમાં 200 થી વધુ લોકોના મોત થયા.

3 સપ્ટેમ્બરના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • 1617 - રોશન આરા બેગમ - મુમતાઝ મહેલની પુત્રી.
  • 1905 - કમલાપતિ ત્રિપાઠી - ભારતીય રાજકારણી, લેખક અને સ્વતંત્રતા સેનાની.
  • 1923 - કિશન મહારાજ - ભારતના પ્રખ્યાત તબલા વાદક.
  • 1926 - ઉત્તમ કુમાર - હિન્દી અને બંગાળી સિનેમાના પ્રખ્યાત અભિનેતા.
  • 1940 - પ્યારેલાલ - પ્રખ્યાત સંગીતકાર જોડી લક્ષ્મીકાંત-પ્યારેલાલના સભ્યો.
  • 1957 - જગ્ગી વાસુદેવ (સદ્ગુરુ) - વિશ્વ વિખ્યાત વાસ્તુશાસ્ત્રી, રહસ્યવાદી અને યોગી.
  • 1971 - કિરણ દેસાઈ - ભારતીય મૂળના પ્રખ્યાત અંગ્રેજી નવલકથાકાર.
  • 1974 - રાહુલ સાઘવી - ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ખેલાડી.
  • 1976 - વિવેક ઓબેરોય - ભારતીય ફિલ્મ અભિનેતા.
  • 1992 - સાક્ષી મલિક - ભારતની પ્રખ્યાત ઓલિમ્પિક મેડલ વિજેતા મહિલા કુસ્તીબાજ.


આ પણ વાંચો: 2 સપ્ટેમ્બરના દિવસભરના 10 મહત્વના સમાચાર, વાંચો એક ક્લિક પર