calendar_todayAugust 28, 2026
Ahmedabad: અમિત શાહે ટાઇપ-1 ડાયાબિટીસગ્રસ્ત દીકરીઓ પાસે રાખડી બંધાવી આપી આજીવન મફત ઇન્સ્યુલિનની ભેટ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પોતાના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગર હેઠળ આવતા અમદાવાદ ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવારની એક વિશિષ્ટ અને સંવેદનશીલ રીતે ઉજવણી કરી હતી. આ વિશેષ કાર્યક્રમમાં ટાઇપ-1 ડાયાબિટીસની ગંભીર બીમારીથી પીડાતી નાની-મોટી દીકરીઓએ કેન્દ્રીય મંત્રી અમિત શાહને રક્ષાસૂત્ર (રાખડી) બાંધીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.
ગૃહ મંત્રીએ આજીવન નિઃશુલ્ક ઇન્સ્યુલિન આપવાની કરી જાહેરાત
આ પ્રસંગે દીકરીઓના રક્ષણ અને સ્વાસ્થ્યની જવાબદારી સ્વીકારતાં કેન્દ્રીય મંત્રીએ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો હતો. તેમણે ટાઇપ-૧ ડાયાબિટીસ ધરાવતી તમામ દીકરીઓને રક્ષાબંધનની અનોખી ભેટ આપતાં જાહેરાત કરી હતી કે આ દીકરીઓને આજીવન નિઃશુલ્ક (ફ્રી) ઇન્સ્યુલિન પૂરું પાડવામાં આવશે, જેથી તેમના પરિવાર પરનો આર્થિક બોજ હળવો થઈ શકે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે માત્ર ઇન્સ્યુલિન આપવા પૂરતું નહીં, પરંતુ દીકરીઓનું આરોગ્ય સતત સારો રહે તે માટે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં એક સુદ્રઢ અને સંકલિત આરોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો સંવેદનશીલ અભિગમ
આ સિસ્ટમ હેઠળ ટાઇપ-1 ડાયાબિટીસના દર્દીઓનું યોગ્ય સ્ક્રીનિંગ, નિયમિત બ્લડ સુગર ટેસ્ટિંગ અને ડોક્ટર દ્વારા જરૂરી ફોલોઅપ સારવાર પૂરી પાડવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે 'દીકરીની રક્ષા અને દીકરીનું સ્વાસ્થ્ય' એ ભારતીય જનતા પાર્ટી અને સરકારની પ્રાથમિક કટિબદ્ધતા છે. બાળકીઓને નાની વયે થતાં ડાયાબિટીસ સામે લડવા માટે તંત્ર સંપૂર્ણપણે તેમની સાથે ઊભું રહેશે.
આ પણ વાંચો: Patan: સમીના રાણાવાડામાં જમીન વિવાદમાં યુવકની કરપીણ હત્યા, 3 આરોપીઓ ગિરફ્તાર