calendar_todayJanuary 14, 2026
Ahmedabad:રહેણાંક-વ્યાપારી હેતુના 11 પ્લોટના વેચાણથી 916 કરોડ એકત્રિત થયા
શહેરના જુદા જુદા વિસ્તારોમાં રેસીડેન્શિયલ અને કોમર્શિયલ હેતુ ધરાવતા 11 પ્લોટની હરાજીથી વેચાણ કરવાને પરિણામે AMCને રૂ. 916 કરોડ, 32 લાખની આવક થઈ છે. AMCના એસ્ટેટ વિભાગ દ્વારા તા. 6 ડિસેમ્બર, 2025ના રોજ 15 પ્લોટ ઈ- ઓક્શનથી વેચાણ કરવા માટે ટેન્ડર જારી કરીને ઓફર મંગાવાઈ હતી અને તે પૈકી તા.12 જાન્યુઆરી, 2026 સુધીમાં 11 પ્લોટનું વેચાણ કરાયું છે.
AMC દ્વારા 15 પ્લોટના વેચાણ મારફતે રૂ. 811 કરોડ, 87 લાખની આવક થવાની ધારણા રાખવામાં આવી હતી અને તેની સરખામણીએ રૂ. 916 કરોડ, 32 લાખની આવક થવાને પરિણામે AMCને રૂ. 104 કરોડ, 45 લાખની વધુ આવક થઈ છે. ઉલ્લેખનીય છે કે, AMC દ્વારા હરાજી કરાયેલા પ્લોટો પૈકી બોડકદેવના પ્લોટની સૌથી વધુ ચો.મી. દીઠ રૂ. 2,80,000ની અપસેટ વેલ્યુની સરખામણીએ રૂ. 3,10,000નો ભાવ આવ્યો છે. સરખેજ- મકરબા- ઓકાફના પ્લોટ માટે ચો.મી. દીઠ રૂ. 1,10,000ની અપસેટ વેલ્યૂની તુલનાએ રૂ. 2,18,000ની બોલી બોલાઈ છે. આમ, સરખેજ- મકરબા-ઓકાફના પ્લોટ માટે બમણો ભાવવધારો મળ્યો છે. AMC દ્વારા સમયાંતરે જુદા જુદા વિસ્તારોમાં પ્લોટોના વેચાણ મારફતે પ્રાપ્ત થતી આવકનો શહેરીજનોને પાણી, ડ્રેનેજ , સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, રસ્તા, ફ્લાયઓવર, ગાર્ડન, જાહેર પરિવહન સહિતની સુવિધાઓ પૂરી પાડવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો