calendar_todayMarch 22, 2026
Ahmedabad: સાણંદ-વિરમગામ હાઇવે પર કેમિકલયુક્ત પાણી પીવાથી 33 પશુઓના કરુણ મોત
સાણંદ-વિરમગામ હાઇવે પર વિરોચનનગર પાટિયા નજીક એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માર્ગની બાજુમાં આવેલા એક ખાડામાં ભરાયેલું પાણી પીવાથી 33 જેટલા પશુઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. માલધારીઓનો ગંભીર આક્ષેપ છે કે આ પાણી કેમિકલયુક્ત હોવાને કારણે પશુઓના જીવ ગયા છે.
પાણી પીવાથી 33 જેટલા પશુઓના મોત
મળતી માહિતી મુજબ, માલધારીઓ 300થી વધુ પશુઓના ટોળા સાથે હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા. વિરોચનનગર પાટિયા નજીક તરસ લાગતા પશુઓએ ખાડામાં ભરાયેલું પાણી પીધું હતું. પાણી પીધાની ગણતરીની મિનિટોમાં જ પશુઓની હાલત બગડવા લાગી હતી. જોતજોતામાં 31 ઘેટાં અને 2 બકરાં મળી કુલ 33 પશુઓ ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા. હજુ પણ કેટલાક પશુઓની હાલત અત્યંત ગંભીર જણાવાઈ રહી છે.
કેમિકલયુક્ત ઝેરી પાણી ઠાલવવામાં આવ્યું
ભોગ બનનાર માલધારીઓએ આક્ષેપ કર્યો છે કે આ ખાડામાં કોઈ ઉદ્યોગ કે ટેન્કર દ્વારા કેમિકલયુક્ત ઝેરી પાણી ઠાલવવામાં આવ્યું છે, જેના કારણે આ હોનારત સર્જાઈ છે. ઘટનાની જાણ થતા જ પશુ ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને ઇજાગ્રસ્ત પશુઓની સારવાર શરૂ કરી છે.
આ પણ વાંચો: Gandhinagar: સરગાસણ-કુડાસણ રોડ પર કારે પલટી મારી, અકસ્માતમાં ચાલક ઇજાગ્રસ્ત