calendar_todayAugust 29, 2026
Ahmedabad: સ્કૂલોની બહાર વેચાતું ધીમું ઝેર, હવે 50 મીટરની ત્રિજ્યામાં જંકફૂડ પ્રતિબંધના નિયમનો અમલ જરૂરી
શહેરની શાળાઓની બહાર મુક્તપણે વેચાતા અસ્વચ્છ જંકફૂડ, તળેલા નાસ્તા અને કેમિકલયુક્ત કોલ્ડ ડ્રિંક્સ માસુમ બાળકોના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભા કરી રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ્ ઈન્ડિયા (FSSAI)ના સ્પષ્ટ માર્ગદર્શક નિયમો મુજબ શાળા પરિસરની 50 મીટરની ત્રિજ્યામાં હાઈ ફેટ, શુગર અને સોલ્ટ (HFSS) વાળા ખોરાક કે તેના વેન્ડર્સ પર સખત મનાઈ છે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર જેવા અન્ય રાજ્યોએ શાળા આસપાસ 50 મીટરના દાયરામાં જંકફૂડના વેચાણ પર કાયદાકીય પ્રતિબંધ અમલી બનાવ્યો છે. જોકે, ગુજરાતમાં હજુ સુધી સ્કૂલ ઝોન માટે આવી કોઈ ચોક્કસ કાયદાકીય નીતિ કે SOP સત્તાવાર રીતે લાગુ થઈ નથી. શાળા સંચાલકોદ્વારા સ્થિતિની ગંભીરતા સમજીને શાળા પરિસરની 100 મીટરની ત્રિજ્યામાં પ્રતિબંધ મૂકવા માટે સરકારમાં રજૂઆતો અને માંગણીઓ કરવામાં આવી છે, પરંતુ આ માંગ હાલ પ્રક્રિયા હેઠળ છે. બાળરોગ નિષ્ણાતોના મતે વારંવાર મેદો અને વનસ્પતિ ઘી-તેલના વપરાશથી 12 થી 16 વર્ષના બાળકોમાં 'નોન-આલ્કોહોલિક ફેટી લિવર'ના કેસો વધી રહ્યા છે. પેક્ડ જંકફૂડ અને સોડાના કારણે નાની વયે બાળકોના પ્લીહા પર લોડ પડે છે, જે નાની ઉંમરે પ્રી-ડાયાબિટીક પરિસ્થિતિનું કારણ બને છે. મહાનગરપાલિકાનું ફૂડ ડિપાર્ટમેન્ટ અને રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન સ્કૂલ ઝોનમાં ચાલતી લારી-ગલ્લાંઓ પર સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં સંપૂર્ણ નિષ્ફ્ળ નીવડયા છે. જંકફૂડમાં વપરાતા દૂષિત પાણી, કેમિકલયુક્ત સોસ અને વાસી તેલનું નિયમિત સેમ્પલિંગ કરવામાં આવતું નથી. જો સમયસર ગુજરાતમાં સ્કૂલોની આસપાસ વેચાતા અસ્વચ્છ ખોરાક સામે કડક ઝુંબેશ ચલાવવામાં નહીં આવે અને FSSAIની ગાઈડલાઈન મુજબ કાયદો નહીં બનાવાય, તો આ જંકફૂડનું દૂષણ આવનારી પેઢીના આરોગ્યને કાયમી નુકસાન 5હોંચાડશે તેવી શક્યતા નકારી ન શકાય. આથી, બાળકોના આરોગ્યને કેન્દ્રમાં રાખીને શાળા આસપાસના ખાદ્ય વેચાણ માટે અલગ દેખરેખ વ્યવસ્થા ઊભી કરવાની તાતી જરૂરિયાત ઉભી થઈ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો