calendar_todayAugust 20, 2026
Ahmedabad News: 2 વર્ષના લાંબી આતુરતાનો અંત, દિવાળીથી નળસરોવરમાં બોટિંગ પુનઃ શરૂ થશે
આગામી દિવાળીના તહેવારોમાં પ્રવાસના શોખીનો માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના પ્રખ્યાત નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે 2 વર્ષના લાંબા સમયગાળા બાદ બોટિંગ સેવાઓ પુનઃ શરૂ થવા જઈ રહી છે. ગુજરાત મેરિટાઇમ બોર્ડ (GMB) દ્વારા આ માટે 100 મિકેનાઇઝ્ડ (યાંત્રિક) બોટ ખરીદવામાં આવી છે અને ટૂંક સમયમાં જ સ્થાનિક નાવિકોને આ બોટ ચલાવવાની તાલીમ આપવામાં આવશે.
હરણી હોડી દુર્ઘટના બાદ બંધ કરાઈ હતી બોટિંગ સેવા
જૂન 2024માં વડોદરાના હરણી તળાવમાં સર્જાયેલી દુર્ઘટના બાદ સલામતીના કારણોસર નળસરોવર ખાતે બોટિંગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું હતું. નળસરોવરમાં વપરાતી સ્થાનિક હોડીઓ લાયસન્સ અને રજીસ્ટ્રેશનના જરૂરી ધોરણો પૂર્ણ કરતી ન હતી. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રવાસન વિભાગ અને વન વિભાગે સંયુક્ત રીતે રજિસ્ટર્ડ નાવિકોને પ્રમાણભૂત અને સુરક્ષિત બોટ પૂરી પાડવાનો નિર્ણય લીધો છે.

બે વર્ષથી બેરોજગાર બનેલા નાવિકોને મળશે મોટી આર્થિક રાહત
બોટિંગ પરના પ્રતિબંધના કારણે સ્થાનિક નાવિકો કે જેઓ એક સીઝનમાં અંદાજે ₹50000 જેટલી કમાણી કરતા હતા, તેઓની રોજીરોટી છીનવાઈ ગઈ હતી. સતત 2 સીઝન સુધી કોઈ બિઝનેસ ન મળતાં નાવિકો આર્થિક સંકટમાં મુકાયા હતા. આ બોટિંગ સેવાઓ ફરી શરૂ થવાથી નાવિકોને મોટી આર્થિક રાહત મળશે અને પ્રવાસીઓની આવક વધતાં સ્થાનિક રોજગારીને પણ વેગ મળશે.

ઈકો ટુરિઝમ અને પક્ષી પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
120.82 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું નળસરોવર ગુજરાતનું સૌથી મોટું વેટલેન્ડ પક્ષી અભયારણ્ય છે. અહીં ગુલાબી પેલિકન (રોઝી પેલિકન), ફ્લેમિંગો, વ્હાઇટ સ્ટોર્ક, બ્રાહ્મિણી ડક અને હેરોન સહિત 250થી વધુ પ્રજાતિના સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓ જોવા મળે છે. નિયમનકારી દેખરેખ હેઠળ સુરક્ષિત બોટિંગ શરૂ થવાથી રાજ્યમાં ઈકો-ટુરિઝમને વધુ પ્રોત્સાહન મળશે.
આ પણ વાંચો - Ahmedabad News: વિવિધ સરકારી ભરતીની પરીક્ષાને લઈ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું