android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: EDII, GCCI અને નાબાર્ડના સહયોગથી ભારતના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક બજાર સાથે જોડવાનો નવતર પ્રયાસ

calendar_todayJanuary 16, 2026

Ahmedabad News: EDII, GCCI અને નાબાર્ડના સહયોગથી ભારતના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક બજાર સાથે જોડવાનો નવતર પ્રયાસ

અમદાવાદમાં સાબરમતીના તટે ભારતીય હસ્તકલા અને સંસ્કૃતિનો અનોખો સંગમ રચાયો છે. એન્ટ્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ની બિઝનેસ વુમન કમિટી દ્વારા નાબાર્ડના સહયોગથી 'ગ્રામીણ ભારત મહોત્સવ – રંગ સુતા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ચાર દિવસીય પ્રદર્શનનું ઉદ્ઘાટન 

16 થી 19 જાન્યુઆરી, 2026 દરમિયાન અમદાવાદના રાજપથ ક્લબ ખાતે યોજાયેલ આ ચાર દિવસીય પ્રદર્શનનો મુખ્ય હેતુ જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન (GI) ધરાવતી પ્રોડક્ટ્સ માટે બજારની પહોંચ વધારવાનો અને ગ્રામીણ કારીગરોની આજીવિકાને મજબૂત બનાવવાનો છે. આ મહોત્સવનું ઉદ્ઘાટન નાબાર્ડના ચીફ જનરલ મેનેજર બી. કે. સિંઘલ અને EDII ના ડાયરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લાના હસ્તે કરવામાં આવ્યું હતું.

56 સ્ટોલ્સમાં કારીગરોએ પ્રદર્શિત કરી અજોડ કળાઓ

આ પ્રદર્શનમાં ભારતના 11 વિવિધ રાજ્યોના કારીગરો દ્વારા 56 સ્ટોલ્સમાં પોતાની અજોડ કળાઓ પ્રદર્શિત કરવામાં આવી છે. અહીં મુલાકાતીઓને પાટણના પટોળા, કચ્છની પ્રખ્યાત રોગન આર્ટ, બનારસના બ્રોકેડ્સ, લખનૌનું બારીક ચિકનકામ અને કાશ્મીરી કેસર જેવા 724 નોંધાયેલ GI ઉત્પાદનોમાંથી પસંદગીના શ્રેષ્ઠ નમૂનાઓ જોવા મળી રહ્યા છે. આ મહોત્સવ માત્ર વેચાણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે B2B (બિઝનેસ-ટુ-બિઝનેસ) સંવાદ માટે એક મહત્વનું પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે, જેના દ્વારા કારીગરો આધુનિક બજારની માંગને સમજી શકે અને મોટા વેપારીઓ સાથે નેટવર્કિંગ કરી શકે.

ગુજરાત પાસે છે 27 GI ટેગ ધરાવતા ઉત્પાદનો

બી. કે. સિંઘલે આ પ્રસંગે જણાવ્યું હતું કે GI પ્રોડક્ટ્સમાં પરંપરાગત કૌશલ્યોને ટકાઉ આજીવિકામાં રૂપાંતરિત કરવાની ક્ષમતા છે, જ્યારે ડો. સુનિલ શુક્લાએ ભારપૂર્વક કહ્યું હતું કે આ પ્રદર્શન 'વોકલ ફોર લોકલ' અને 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ગુજરાત પાસે હાલમાં 27 જેટલા GI ટેગ ધરાવતા ઉત્પાદનો છે. આ પ્રકારના આયોજનોથી પ્રાદેશિક અસ્મિતા જળવાય છે અને હજારો ગ્રામીણ ઉદ્યોગસાહસિકોને યોગ્ય વળતર અને માન્યતા મળે છે. આમ, 'રંગ સુતા' મહોત્સવ એ ભારતના સમૃદ્ધ વારસાને આધુનિક આર્થિક તક સાથે જોડતું એક સશક્ત માધ્યમ બની રહ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો