calendar_todayMay 5, 2026
Ahmedabad News: SG હાઈવે પર તૈયાર થયેલો બ્રિજ જૂનથી ખુલશે, વાહનચાલકોને થશે લાભ
અમદાવાદીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરમાં SG હાઇવે પર હવે ટ્રાફિકની પળોજણથી વાહન ચાલકોને રાહત મળશે, શહેરના સૌથી વ્યસ્ત ગણાતા SG હાઇવે પર સાયન્સ સિટીથી કર્ણાવતી ક્લબ સુધીનો 4 કિલોમીટર લાંબો એલિવેટેડ બ્રિજ આગામી જૂન મહિનાથી જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.આ નવો બ્રિજ શરૂ થતા જ વાહનચાલકો આ ત્રણેય મુખ્ય જંક્શન પરના ટ્રાફિક અને સિગ્નલોમાં ફસાયા વગર સીધા જ પસાર થઈ શકશે.
સાયન્સ સિટીથી કર્ણાવતી ક્લબ સુધી સરળ મુસાફરી
અંદાજે 500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ 4 કિમીની લંબાઈ ધરાવતો શહેરના સૌથી લાંબા એલિવેટેડ કોરિડોર પૈકીનો એક હોવાનો દાવો કરાયો છે. આ બ્રિજ કાર્યરત થયા બાદ સાયન્સ સિટીથી કર્ણાવતી ક્લબ સુધીનું અંતર હવે મિનિટોમાં કપાઈ જશે.સિગ્નલ પર વાહનો ઊભા ન રહેવાને કારણે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે.ગાંધીનગર અને સૌરાષ્ટ્ર તરફ જતા વાહનોને શહેરના આંતરિક ટ્રાફિકનો સામનો નહીં કરવો પડે. બ્રિજનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ફાઇનલ ટચ આપવામાં આવી રહ્યો છે.તંત્ર દ્વારા જૂન મહિનામાં તેનું લોકાર્પણ કરવાની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.ચોમાસું શરૂ થાય તે પહેલા આ બ્રિજ શરૂ થઈ જવાથી વરસાદી માહોલમાં થતા ટ્રાફિક જામની સમસ્યામાંથી પણ શહેરીજનોને મોટી રાહત મળશે.