calendar_todayJanuary 14, 2026
Ambaji માં શક્તિ પરંપરાનું પુનર્જાગરણ, ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત થશે 16 ફૂટ ઊંચું 'અખંડ શક્તિ ત્રિશૂલ'
ઉત્તરકાશીની 1500 વર્ષ જૂની પવિત્ર શક્તિ પરંપરા હવે ગુજરાતના આરાધના ધામ અંબાજીમાં જીવંત થશે. ઉત્તરકાશી સ્થિત આદ્યશક્તિના પવિત્ર ત્રિશૂલની પ્રતિકૃતિ સમાન 16 ફૂટ ઊંચું અને 600 કિલો વજન ધરાવતું દિવ્ય “અખંડ શક્તિ ત્રિશૂલ” અંબાજીના સુપ્રસિદ્ધ ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને અંબાજી ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે આગામી 17 જાન્યુઆરીએ આ ત્રિશૂલને અમદાવાદ ખાતે ભક્તોના દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે. આ ભવ્ય આયોજન શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને અમદાવાદના જય ભોલે ગ્રુપના સહયોગથી સાકાર થઈ રહ્યું છે, જે શક્તિ ઉપાસનાના નવા અધ્યાયની શરૂઆત કરશે.
600 કિલોનું અખંડ શક્તિ ત્રિશૂલ
આ દિવ્ય ત્રિશૂલ માત્ર એક કલાકૃતિ નથી, પરંતુ આસ્થા અને આધ્યાત્મિક ચેતનાનું પ્રતીક છે. પૌરાણિક માન્યતા મુજબ, ભગવાન શિવે માતા જગદંબાને જે ત્રિશૂલ અર્પણ કર્યું હતું, તેનાથી જ મહિષાસુરનો સંહાર થયો હતો. ત્રિશૂલિયા ઘાટ પર આ સ્થાપના પાછળનો મુખ્ય હેતુ યાત્રાળુઓમાં આત્મવિશ્વાસ અને નિર્ભયતાની ભાવના જગાડવાનો છે. અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં આગામી 18થી 21 જાન્યુઆરી દરમિયાન બપોરે 3 થી રાત્રે 8 વાગ્યા સુધી ભક્તો આ 600 કિલોના અખંડ ત્રિશૂલના દર્શન કરી શકશે. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે તેને અંબાજીના પવિત્ર માર્ગ પર કાયમી ધોરણે બિરાજમાન કરવામાં આવશે.
આ પણ વાંચો : Amit Shah In Gujarat : ઉત્તરાયણ પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યા ભગવાન જગન્નાથના દર્શન