calendar_todayAugust 27, 2026
Amreli News: લાઠીના દુધાળામાં કેન્દ્રીય ગૃહમંત્રીનું આગમન, 'ગુજરાત ગૌરવ સરોવર'નું કર્યું લોકાર્પણ
દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલા દુધાળા ગામે 'હેતની હવેલી' ખાતે પહોંચ્યા હતા. હેતની હવેલી ખાતે બનાવેલા હેલીપેડ પર તેમનું હેલિકોપ્ટર લેન્ડ થયું હતું, જ્યાં પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા દ્વારા ગૃહમંત્રીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી, કૃષિમંત્રી સહિતના ઉચ્ચ રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
'ગુજરાત ગૌરવ સરોવર'નું લોકાર્પણ અને વૃક્ષારોપણ
આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે જળ સંચયના અગત્યના પ્રકલ્પ સમાન 'ગુજરાત ગૌરવ સરોવર'નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ ગૃહમંત્રીએ પર્યાવરણ જતનનો સંદેશ આપતાં સરોવર પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ સરોવરથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જળસ્તર ઊંચા લાવવામાં અને પાણીની સમસ્યા ઉકેલવામાં મોટી મદદ મળશે.
સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ
કેન્દ્રીય ગૃહમંત્રીની અમરેલી મુલાકાતને લઈને લાઠી અને આસપાસના ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હેતની હવેલી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. સ્થાનિક તંત્ર દ્વારા કાર્યક્રમ સંદર્ભે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.