calendar_todayJanuary 21, 2026
Anar Patel Profile : ખોડલધામની કમાન હવે અનાર પટેલના હાથમાં, જાણો તેમનું રાજનીતિમાં શું કનેક્શન છે...
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સંગઠન સ્તરે એક ખૂબ જ મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ CM આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામના સંગઠન અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે 'ખોડલધામ કન્વીનર મીટ-2026' દરમિયાન આ જાહેરાત કરી હતી.
સંગઠનને વેગ આપવા અનાર પટેલની પસંદગી
ખોડલધામ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, અનાર પટેલ હવે ટ્રસ્ટના સંગઠનને લગતા તમામ પાયાના કામકાજ અને વિસ્તરણની જવાબદારી સંભાળશે. સામાજિક ક્ષેત્રે તેમનો વર્ષોનો અનુભવ ખોડલધામના સામાજિક અને શૈક્ષણિક કાર્યોને નવી ઊંચાઈએ લઈ જવામાં મદદરૂપ થશે તેમ માનવામાં આવે છે.
કોણ છે અનાર પટેલ?
અનાર પટેલ એક જાણીતા સોશિયલ એન્ટરપ્રિન્યોર અને સમાજસેવિકા છે. તેમણે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી B.Sc (ગણિત) અને નિરમા યુનિવર્સિટીમાંથી MBA ની પદવી મેળવી છે. તેઓ 'ગ્રામશ્રી' NGO ના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી છે, જે હજારો મહિલા કારીગરોને રોજગારી પૂરી પાડે છે. હસ્તકલા અને કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે તેમણે 'ક્રાફ્ટરૂટ્સ' જેવી પહેલ શરૂ કરી છે.
રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા
નરેશ પટેલ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત બાદ રાજકીય અને સામાજિક ગલિયારાઓમાં ભારે ચર્ચા જાગી છે. પાટીદાર સમાજની આ સર્વોચ્ચ સંસ્થામાં અનાર પટેલના આગમનથી સંગઠન શક્તિ વધુ મજબૂત બનશે અને ખાસ કરીને મહિલા પાંખ વધુ સક્રિય થશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો : Ahmedabad News : નિર્દોષને ફસાવવા કારમાં ડ્રગ્સ મુકવાનું ષડયંત્ર નિષ્ફળ, વાડજ પોલીસે કરી ધરપકડ