calendar_todayJanuary 5, 2026
Bagdana: કોળી યુવકને માર મારવાની ઘટનાને લઇ સમાજના આગેવાનો CMને રજૂઆત માટે પહોંચ્યા
પવિત્ર યાત્રાધામ બગદાણામાં એક કોળી યુવક પર થયેલા હુમલાની ઘટનાએ હવે મોટું રાજકીય અને સામાજિક સ્વરૂપ ધારણ કર્યુ છે. આ મામલે કોળી સમાજમાં ફેલાયેલા ભારે રોષને પગલે સમાજના દિગ્ગજ નેતાઓ અને મંત્રીઓ આજે મુખ્યમંત્રની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.
માયાભાઇ આહીરના પુત્ર જયરાજ સામે આક્ષેપ
આ હુમલાની ઘટનામાં પ્રખ્યાત લોકસાહિત્યકાર માયાભાઇ આહીરના પુત્ર જયરાજ આહીર સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. પીડિત પક્ષ અને સમાજના આગેવાનોનું કહેવું છે કે હુમલા પાછળ જયરાજ આહીરનો હાથ છે. જોકે ઘટનાના કેટલાય દિવસો વીતવા છતાય મુખ્ય આરોપીઓની ધરપકડ ન થતા સમાજમાં અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.
ગાંધીનગરમાં રાજકીય હલચલ
ન્યાયની માંગણી સાથે આજે ગાંધીનગરમાં મોટી રાજકીય હલચલ જોવા મળી હતી. મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચતા પહેલા તમામ આગેવાનોની મંત્રી નિવાસસ્થાને એક મહત્વની બેઠક યોજાઇ હતી. આ રજૂઆતમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, ધારાસભ્યા હીરા સોલંકી, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને સાંસદ રાજેશ ચુડાસમા જેવા કદાવર નેતાઓ જોડાયા હતા.
કોળી સમાજના આગેવાનોની માગ
કોળી સમાજના આગેવાનોની સ્પષ્ટ માગ છે કે હુમલામાં સંડોવાયેલા તમામ મુખ્ય આરોપીઓની સત્વરે ધરપકડ કરવામાં આવે. પોલીસ તપાસમાં થઇ રહેલા વિલંબ અને પક્ષપાતી વલણની તપાસ થાય અને પીડિત યુવકને ન્યાય મળે અને તેને સુરક્ષા પૂરી પાડવામાં આવે. આ ઘટનાને કારણે બગદાણા પંથક અને સમગ્ર કોળી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
આ પણ વાંચોઃ Surat: સુરતમાં 17 વર્ષીય દીકરીને ફસાવનાર નરાધમ ઝડપાયો, લોકોમાં ભારે રોષ