calendar_todayAugust 29, 2026
Chhota Udepur: નસવાડી APMC ચૂંટણીમાં 33 ઉમેદવારી પત્રો ભરાયા
નસવાડી APMCની ચૂંટણી આગામી તા. 9 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાવાની છે. જેના ઉમેદવારી પત્ર ભરવાનો આજે તા. 29 ઓગસ્ટે એકમાત્ર દિવસ હતો. સાંજે 5 વાગ્યા સુધીની સમયમર્યાદા પૂર્ણ થતાં કુલ 33 ઉમેદવારી પત્રો ભરાયા હતા.
ખેડૂત વિભાગની 10 બેઠકો માટે સૌથી વધુ 29 ઉમેદવારી પત્રો ભરાયા છે. જ્યારે સહકારી ખરીદ-વેચાણ સંઘ વિભાગની બે બેઠકો માટે બે અને વેપારી વિભાગની 4 બેઠકો સામે બે ઉમેદવારી પત્રો ભરાયા છે. જેની ચકાસણી આવતીકાલે તા. 30 ઓગસ્ટે કરાશે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તા. 2 સપ્ટેમ્બર છે. આ દિવસે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થયા બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.
વર્ષ 2023ના નવા નિયમો મુજબ વેપારી તરીકે મતદાર બનવા માટે ઓછામાં ઓછું ત્રણ વર્ષ જૂનું લાઈસન્સ હોવું તેમજ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન દર વર્ષે રૂ. 50,000ની શેષ ફી ભરવી ફરજિયાત કરવામાં આવી છે. આ નિયમોના કારણે વેપારી મતદારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ 2021ની ચૂંટણીમાં વેપારી વિભાગમાં 378 મતદારો હતા, જે સંખ્યા આ વખતે ઘટીને માત્ર બે રહી છે. આ બે મતદારો અમીન મહમદ હનીફ્ મેમણ અને સાગર કુંજ બિહારી શાહે ઉમેદવારી પત્ર ભર્યા છે. ઉમેદવારી પત્રોની ચકાસણીમાં બંને પાત્ર ઠરશે અને અન્ય કોઈ ઉમેદવાર નહીં હોય તો બંનેને બિનહરીફ્ વિજેતા જાહેર કરાશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો