calendar_todayJanuary 12, 2026
Chhotauadypur:ભીંડોલ ગામે ખેતરમાંથી 10 અને 6 ફૂટના બે અજગરનું રેસ્ક્યૂ
પાવીજેતપુર તાલુકાના ભીંડોલ ગામે એક ખેતરમાંથી વૃક્ષના થડમાં છુપાયેલા બે મહાકાય અજગરો મળી આવતા કુતૂહલ સાથે ફ્ફ્ડાટ વ્યાપી ગયો હતો. કરસણ ગામના સર્પ નિષ્ણાતે ભારે જહેમત બાદ બંને અજગરોને પકડી પાડી જંગલમાં સુરક્ષિત રીતે મુક્ત કરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભીંડોલ ગામના રહેવાસી કાબલાભાઈ અમરસિંગભાઈ રાઠવાના ખેતરમાં સૂકાઈ ગયેલા વૃક્ષોને જેસીબી મશીન દ્વારા દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે બે અલગ વૃક્ષોના પોલાણવાળા થડમાંથી અચાનક અજગરો દેખાઈ આવતા કામ કરી રહેલા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. જે પૈકી એક અજગર આશરે 10 ફૂટ લાંબો અને બીજો અજગર 6 ફૂટ લાંબો હોવાનું જણાયું હતું. આ ઘટનાની જાણ થતા જ કરસણ ગામના સાપ પકડવાના નિષ્ણાત મિતેશભાઇ દેવેન્દ્રભાઈ રાઠવા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે ભારે જહેમત બાદ બંને અજગરોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધા હતા. બાદમાં આ બંને અજગરોને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યા હતા. મિતેશભાઇ રાઠવા આ ક્ષેત્રમાં લાંબા સમયથી માનદ સેવા આપી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, માનવ અને વન્યજીવ બંનેના જીવ બચાવવા તે તેમનો મુખ્ય હેતુ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો