android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Death Penalty in Gujarat: ગુજરાતમાં ફાંસીની સજા: કડક ચુકાદા અને કાનૂની વાસ્તવિકતા

calendar_todayJanuary 17, 2026

Death Penalty in Gujarat: ગુજરાતમાં ફાંસીની સજા: કડક ચુકાદા અને કાનૂની વાસ્તવિકતા

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગંભીર ગુનાઓમાં અદાલતો દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને માસૂમ બાળકીઓ પરના અત્યાચાર અને આતંકવાદ જેવા કિસ્સાઓમાં 'મૃત્યુદંડ' એટલે કે ફાંસીની સજાના અનેક ચુકાદાઓ આવ્યા છે.

ગત એક વર્ષના મહત્વના ચુકાદા

  • છેલ્લા 12 મહિનામાં ગુજરાતની વિવિધ સેસન્સ અદાલતોએ 'રેરેસ્ટ ઓફ ધ રેર' કેસ ગણીને ફાંસીની સજા સંભળાવી છે.
  • રાજકોટ (આટકોટ) કેસ (જાન્યુઆરી 17, 2026): 7 વર્ષની બાળકી પર અમાનવીય અત્યાચાર કરનાર રામસિંગ તેરસિંગને માત્ર ૩૯ દિવસમાં ટ્રાયલ પૂરી કરી ફાંસીની સજા ફટકારાઈ.
  • આણંદ (ખંભાત) કેસ (એપ્રિલ 2025): બાળકી પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં 30 વર્ષીય અર્જુન ઉર્ફે ડાડો ગોહેલને 'ડબલ ફાંસી' ની સજા અપાઈ.
  • કોડિનાર કેસ (જુલાઈ 2024): ગીર સોમનાથમાં સગીરા પરના અત્યાચારના કેસમાં પણ કોર્ટે ફાંસીનો હુકમ કર્યો હતો.
  • સુરત (2019): સુરતમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.
  • ગાંધીનગર (2002): અક્ષરધામ મંદિર પર હુમલો કરવા બદલ ત્રણ આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. બાદમાં તેમને સુપ્રિમ કોર્ટમાં નિર્દોષ જાહેર કરી છોડી મુકાયા હતા.

હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું વલણ

કાયદા મુજબ, નીચલી અદાલતની ફાંસીની સજા ત્યારે જ અમલમાં આવે છે, જ્યારે હાઈકોર્ટ તેને બહાલી આપે. ગત વર્ષે કેટલાક કિસ્સામાં સજામાં ફેરફાર પણ જોવા મળ્યો છે.

ખેડા ગેંગરેપ કેસ (જાન્યુઆરી 2026): 2018ના કેસમાં 3 આરોપીઓને નીચલી અદાલતે ફાંસી આપી હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટે પુરાવાઓના અભાવે તેમને નિર્દોષ જાહેર કરી મુક્ત કર્યા છે.

સુરત કેસ (ડિસેમ્બર 2025): એક પિતાને ફાંસીની સજા મળી હતી, જેને હાઈકોર્ટે પુનઃવિચારણા બાદ આજીવન કેદમાં ફેરવી છે.

ગુજરાતમાં ફાંસીના કેસના આંકડા

નેશનલ લો યુનિવર્સિટીના 'પ્રોજેક્ટ 39-એ' ના રિપોર્ટ અને અદાલતી આંકડા મુજબ:

ડેથ રો પર કેદીઓ: ગુજરાતમાં હાલ 50થી વધુ કેદીઓ એવા છે, જેમને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે, અને તેઓ જેલમાં સજાના અમલની અથવા અપીલના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે.

ઐતિહાસિક આંકડો: 2022માં અમદાવાદ સીરીયલ બ્લાસ્ટ કેસમાં એકસાથે 38 લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી, જે ભારતના ન્યાયિક ઇતિહાસમાં એક રેકોર્ડ છે.

વાસ્તવિક અમલીકરણ

સજા સંભળાવવી અને ફાંસી આપવી એ બંને અલગ પ્રક્રિયા છે. ગુજરાતમાં છેલ્લા ઘણા દાયકાઓથી કોઈ પણ કેદીને વાસ્તવમાં ફાંસી આપવામાં આવી નથી. ભારતમાં છેલ્લે 2020માં 'નિર્ભયા કેસ' ના ચાર આરોપીઓને ફાંસી અપાઈ હતી. ગુજરાતમાં છેલ્લી ફાંસી ક્યારે અપાઈ હતી તે અંગેના સત્તાવાર આંકડા ઘણા વર્ષો જૂના છે.

કેમ ફાંસીની સજાના અમલમાં વિલંબ થાય છે?

  • કોઈપણ ગુનેગારને ફાંસી આપતા પહેલા તેને કાનૂની ઉપચારોની તક મળે છે.
  • હાઈકોર્ટ કન્ફર્મેશન: નીચલી અદાલતના ચુકાદા પર હાઈકોર્ટની મહોર જરૂરી છે.
  • સુપ્રીમ કોર્ટમાં અપીલ: હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ શકે.
  • રિવ્યુ પિટિશન: સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ફરી વિચાર કરવા માટે.
  • દયા અરજી: છેલ્લે રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરી શકાય છે.

ગુજરાતની અદાલતો હવે મહિલાઓ અને બાળકો વિરૂદ્ધના ગુનામાં 'ઝીરો ટોલરન્સ' ની નીતિ અપનાવી રહી છે, જેના કારણે ફાંસીની સજાના ચુકાદાઓ વધ્યા છે, જોકે તેનું વાસ્તવિક અમલીકરણ કાનૂની પ્રક્રિયાઓને કારણે સમય માંગી લે છે. આવામાં ગુજરાતમાં ગત વર્ષોમાં ફાંસીની સજા ઘણા દોષીઓને સંભળાવવામાં આવી છે. જોકે, વાસ્તવિકતા એ છે કે એક પણ દોષીને નજીકના વર્ષોમાં ફાંસીની સજા આપવામાં આવી નથી.

છેલ્લે 1989માં અપાઈ હતી ફાંસી

ગુજરાત રાજ્યમાં ચકચાર જગાવનારા 1989માં રાજકોટમાં શશિકાંત માળી નામના ગુનેગારને ટ્રિપલ મર્ડર બદલ ફાંસી આપવામાં આવી હતી, જેમાં તેણે એક બાળકી સહિત ત્રણની હત્યા કરી હતી.

આ પણ વાંચો - Death Penalty : રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં ગુજરાત દેશમાં અગ્રણી હોવાના સરકારના આંકડા