android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dhar Bhojshala: ભોજશાળા પર મુસ્લિમ પક્ષ પહોંચ્યુ SC, હાઇકોર્ટે ગણાવ્યું હતુ મંદિર

calendar_todayMay 22, 2026

Dhar Bhojshala: ભોજશાળા પર મુસ્લિમ પક્ષ પહોંચ્યુ SC, હાઇકોર્ટે ગણાવ્યું હતુ મંદિર

મધ્ય પ્રદેશના ધારમાં આવેલા વિવાદિત ભોજશાળા-કમલ મૌલા મસ્જિદ પરિસરનો કાનૂની વિવાદ હવે દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી ગયો છે. મસ્જિદના વહીવટકર્તા કાઝી મોઇનુદ્દીને મધ્ય પ્રદેશ હાઈકોર્ટના તાજેતરના ચુકાદાને પડકારતી અપીલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે.

ભોજશાળા મંદિર છે 

ઉલ્લેખનીય છે કે, ગત 15 મેના રોજ હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતાં ભોજશાળા સંકુલના ધાર્મિક સ્વરૂપને મૂળભૂત રીતે હિન્દુ મંદિર સમાન ગણાવ્યું હતું. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે આ વિવાદિત સ્થળ એક સંરક્ષિત સ્મારક છે, જે વાસ્તવમાં દેવી સરસ્વતી (વાગ્દેવી)ને સમર્પિત મંદિર છે.

આજે પહેલીવાર ભોજશાળામાં મહાઆરતી 

કાનૂની લડાઈ વચ્ચે, ચાલુ શુક્રવારે ભોજશાળા પરિસરમાં પ્રથમ વખત દેવી વાગ્દેવીની ભવ્ય મહાઆરતી અને વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન કરાયુ.  અંદાજે 721 વર્ષના લાંબા સંઘર્ષ બાદ આ એવો પ્રથમ પ્રસંગ હશે જ્યારે શુક્રવારના દિવસે ભોજશાળા સંકુલ દેવી સરસ્વતીના જયઘોષથી ગુંજી ઉઠ્યો.. આ ઐતિહાસિક ક્ષણને લઈને સમગ્ર ધાર પંથકના શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

હાઈકોર્ટે વર્ષ 2003નો નમાજનો આદેશ રદ કર્યો

આ પૂર્વે હાઈકોર્ટના જસ્ટિસ વિજય કુમાર શુક્લા અને જસ્ટિસ આલોક અવસ્થીની બહેલી ડિવિઝન બેન્ચે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા વર્ષ 2003માં બહાર પાડેલા એ આદેશને ફગાવી દીધો હતો, જે અંતર્ગત મુસ્લિમ પક્ષને ત્યાં શુક્રવારે નમાજ પઢવાની મંજૂરી આપવામાં આવી હતી. હાઈકોર્ટે પોતાના અવલોકનમાં જણાવ્યું હતું કે, મુસ્લિમ પક્ષ મસ્જિદના નિર્માણ માટે વૈકલ્પિક જમીન ફાળવવા રાજ્ય સરકારને વિનંતી કરી શકે છે.

કોર્ટનું અવલોકન

ઐતિહાસિક દસ્તાવેજો અને પુરાતત્વીય પુરાવાઓ સ્પષ્ટપણે સાબિત કરે છે કે આ સ્થળ પ્રાચીન સમયમાં સંસ્કૃત શિક્ષણનું એક મોટું કેન્દ્ર હતું અને અહીં દેવી સરસ્વતીનું ભવ્ય મંદિર અસ્તિત્વ ધરાવતું હતું. અદાલતે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક 'અયોધ્યા ચુકાદા'ના કાનૂની સિદ્ધાંતોને આધાર બનાવીને આ આદેશ આપ્યો છે. આ સાથે જ કેન્દ્ર સરકાર અને ASI ને મંદિરના સંચાલન અંગે યોગ્ય નિર્ણયો લેવા નિર્દેશ આપ્યો છે, જોકે સ્મારકની એકંદર જાળવણીની જવાબદારી ASI પાસે યથાવત રહેશે.

લંડનથી વાગ્દેવીની પ્રતિમા પરત લાવવા અંગે મહત્વની ટિપ્પણી

બ્રિટિશ શાસનકાળ દરમિયાન ભોજશાળામાંથી લંડન લઈ જવાયેલી દેવી સરસ્વતીની મૂળ પ્રતિમાને ભારત પરત લાવવા માટે હિન્દુ પક્ષ દ્વારા લાંબા સમયથી માગ કરવામાં આવી રહી છે. આ મુદ્દે હાઈકોર્ટે ટિપ્પણી કરી કે કેન્દ્ર સરકાર આ માગણીને સત્તાવાર રજૂઆત તરીકે સ્વીકારીને તેના પર યોગ્ય વિચારણા કરી શકે છે.

વિવાદની પૃષ્ઠભૂમિ અને ASI સર્વેનો રિપોર્ટ

આ સમગ્ર મામલો હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરાયેલી વિવિધ અરજીઓ પર આધારિત છે, જેમાં ભોજશાળા પરિસર સંપૂર્ણપણે હિન્દુઓને સોંપવાની અને ત્યાં નમાજ પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી હતી. આ અરજીઓમાં ૭ એપ્રિલ ૨૦૦૩ના રોજ જાહેર કરાયેલા ASIના એ નોટિફિકેશનને પડકારવામાં આવ્યું હતું, જે હિન્દુઓના પૂજાના અધિકારોને મર્યાદિત કરતું હતું.

નોંધનીય છે કે, વર્ષ 2024 માં હાઈકોર્ટના આદેશથી ASI દ્વારા આ આખા સંકુલનો વૈજ્ઞાનિક સર્વે કરવામાં આવ્યો હતો. ASI એ પોતાના સત્તાવાર અહેવાલમાં જણાવ્યું હતું કે વર્તમાન માળખાનું નિર્માણ અગાઉ અસ્તિત્વ ધરાવતા પ્રાચીન મંદિરોના અવશેષો અને સ્થાપત્યના ઘટકોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે. આ અહેવાલ અને સ્થળ નિરીક્ષણ બાદ જ હાઈકોર્ટે આ આખરી અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.