calendar_todayJuly 2, 2026
Gandhinagar News: 11 હજાર તલાટી મંત્રીનો આવતીકાલથી વિરોધ, સરકાર સામે લડાઈનું રણશિંગું ફૂંક્યુ
ગુજરાતમાં તલાટી-કમ-મંત્રીઓની વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ કરવાની તૈયારીઓ કરી રહ્યાં છે. અંદાજે 11 હજાર જેટલા તલાટીઓએ સરકાર સામે આરપારની લડાઈનું રણશિંગું ફૂંક્યું છે અને આવતીકાલથી નો એક્સ્ટ્રા વર્ક એટલે કે વધારાની કામગીરી ન કરવાનું આંદોલન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પોતાની લાંબા સમયની માંગણીઓનો ઉકેલ ન આવતા તલાટી મંડળે આ કડક વલણ અપનાવ્યું છે.
50 જેટલી બિન-મૂળભૂત કામગીરીઓ પર સંપૂર્ણ બ્રેક
આ આંદોલનના ભાગરૂપે તલાટીઓ હવે ગામડાઓમાં પોતાની ફરજના મુખ્ય કામો સિવાયની અન્ય આશરે 50 જેટલી બિન-મૂળભૂત કામગીરીઓ પર સંપૂર્ણ બ્રેક મારી દેશે. તલાટીઓની મુખ્ય નારાજગી તેમના જોબચાર્ટ અંગે સરકાર દ્વારા કોઈ સ્પષ્ટ નિર્ણય ન લેવાયો હોવાને કારણે છે. આ ઉપરાંત, રેવન્યુ તલાટીઓની નવી નિમણૂંકોના મુદ્દે પણ તલાટી સંવર્ગમાં ભારોભાર રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે.
તલાટી સંગઠને મુખ્યમંત્રીને પત્ર લખ્યો
તલાટીઓના આ આંદોલનથી આગામી દિવસોમાં ગ્રામ્ય સ્તરે વહીવટી મોરચે ગંભીર અસર જોવા મળી શકે છે. વધારાની કામગીરી બંધ થવાથી ગામડાઓમાં સરકારની વિવિધ યોજનાઓ અને અન્ય વહીવટી પ્રક્રિયાઓ અટવાઈ જવાની શક્યતા છે, જેના કારણે વહીવટી તંત્રમાં મોટી મુશ્કેલીઓ સર્જાય તેમ છે. તલાટી મંત્રી મહામંડળે આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખી માંગણીઓ રજૂ કરી છે. સંગઠને ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે.