calendar_todayJuly 7, 2026
Gandhinagar News: દહેગામના હાલીસામાં જીવતો વીજતાર તૂટી પડતાં 23 વર્ષીય મહિલાનું કમકમાટીભર્યું મોત
ગાંધીનગરના દહેગામના હાલીસા ગામેથી વહીવટી તંત્ર અને ખાસ કરીને UGVCL (ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ)ની ગંભીર લાપરવાહીને કારણે એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. ગામમાં યુનિયન બેંક પાસે આવેલા એક જૂના વૃક્ષની ડાળી અચાનક વીજળીના લાઈન પર તૂટી પડી હતી, જેને કારણે હાઈ-ટેન્શન લાઈનનો જીવતો વીજતાર રસ્તા પર ધસી પડ્યો હતો. એ જ સમયે માર્ગ પરથી પસાર થઈ રહેલા 23 વર્ષના ભાવનાબેન મકવાણા આ વાયરની ઝપેટમાં આવતા એટલો જોરદાર કરંટ લાગ્યો હતો કે ઘટનાસ્થળે જ તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
બે માસૂમ બાળકો માતાવિહોણા બન્યા
આ ગોઝારી અને કાળજું કંપાવી દે તેવી દુર્ઘટનાને કારણે સ્થાનિક પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક ભાવનાબેનના અકાળ અવસાનથી તેમની છ વર્ષની માસૂમ દીકરી અને ત્રણ વર્ષનો નાનો દીકરો હવે માતાની છત્રછાયા ગુમાવીને તદ્દન અનાથ અને નોંધારા બની ગયા છે. ઘરમાંથી સામાન્ય કામ અર્થે બહાર નીકળેલી માતા ક્યારેય પાછી નહીં ફરે તે વાતથી અજાણ માસૂમ બાળકો અને પરિવારજનોના હૃદયદ્રાવક આક્રંદથી આખું ગામ હિબકે ચડ્યું છે, જ્યારે આસપાસના લોકો વહીવટી તંત્ર પ્રત્યે ભારે ફિટકાર વરસાવી રહ્યા છે.
ગ્રામજનોમાં રોષ અને પોલીસ તપાસ શરૂ
આ અકસ્માત બાદ વીજ કંપની સામે ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકોનો સીધો આક્ષેપ છે કે લટકતી વીજ લાઈનો અને જોખમી વૃક્ષોની ડાળીઓ કાપવા માટે અગાઉ અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, છતાં UGVCLના આંખ આડા કાન કરવાની નીતિને કારણે આ નિર્દોષ મહિલાએ જીવ ગુમાવવો પડ્યો છે. ઘટનાની જાણ થતાં જ દહેગામ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની તપાસ હાથ ધરી છે, જ્યારે ગ્રામજનો બેજવાબદાર અધિકારીઓ સામે કડક ફોજદારી ગુનો નોંધવા અને પીડિત પરિવારને તાત્કાલિક વળતર આપવાની ઉગ્ર માગ કરી રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો