calendar_todayAugust 16, 2026
Gandhinagar News: વાઈબ્રન્ટ સમિટને લઈ વિદેશ રવાના થયેલા IASનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપાયો
આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનાર 'વાયબ્રન્ટ ગુજરાત 2027 સમિટ માટે રોકાણકારોને આકર્ષવા અને નિમંત્રણ પાઠવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ 24 ઓગસ્ટ સુધીના અમેરિકા અને કેનેડાના વિદેશ પ્રવાસે રવાના થયું છે.આ પ્રતિનિધિમંડળમાં મુખ્યમંત્રીની સાથે રાજ્યના મુખ્ય સચિવ એમ.કે.દાસ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ સંજીવ કુમાર,અગ્ર સચિવ આલોક પાંડે,ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા તેમજ ટી.નટરાજન જેવા ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા છે. હવે તેમનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપવામાં આવ્યો છે.
5 જેટલા ઉચ્ચ IAS અધિકારીઓનો વધારાનો ચાર્જ સોંપાયો
ગુજરાતમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજનના ભાગરૂપે રાજ્યના સિનિયર IAS અધિકારીઓ વિદેશ પ્રવાસે જઈ રહ્યા હોવાથી વહીવટી તંત્રમાં મોટા પાયે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.આ વિદેશ પ્રવાસ દરમિયાન રાજ્યના મહત્વના વિભાગોની કામગીરી અટકાય વગર સુચારુ રીતે ચાલે તે માટે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સત્તાવાર આદેશ જારી કરીને કુલ 5 જેટલા ઉચ્ચ IAS અધિકારીઓનો વધારાનો ચાર્જ અન્ય સક્ષમ અધિકારીઓને સોંપવામાં આવ્યો છે.
નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ અંજુ શર્માને સોંપાયો
આ નવેસરથી કરાયેલી વ્યવસ્થા મુજબ,ટી.નટરાજન વિદેશ પ્રવાસે જતાં તેમના નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ અંજુ શર્માને સોંપાયો છે. જ્યારે મમતા વર્માના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ રાજીવ ટોપનોને અને ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમારનો ચાર્જ અરુણ કુમાર સોલંકીને સુપ્રત કરાયો છે. આ ઉપરાંત, પી.સ્વરૂપના ઉદ્યોગ કમિશનરનો ચાર્જ પ્રવિણા ડી.કે.ને વિક્રાંત પાંડેના સચિવનો ચાર્જ અજય કુમારને તેમજ રેસિડેન્ટ કમિશનરનો ચાર્જ સંધ્યા ભુલ્લરને સોંપવામાં આવ્યો છે.