android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar Wall Collapse Live  : કુડાસણમાં બોસ્કી ધ એમ્પાયર સાઇટમાં સ્લેબ ધરાશાયી, 15 શ્રમિકો ઇજાગ્રસ્ત, Video

calendar_todaySeptember 9, 2026

Gandhinagar Wall Collapse Live : કુડાસણમાં બોસ્કી ધ એમ્પાયર સાઇટમાં સ્લેબ ધરાશાયી, 15 શ્રમિકો ઇજાગ્રસ્ત, Video

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં  બોસ્કી ધ એમ્પાયર નામની નિર્માણાધીન બાંધકામ સાઇટ પર આજે રાત્રે અચાનક દુર્ઘટના સર્જાતા ભારે દોડધામ મચી હતી. બાંધકામ સાઇટ પર દિવાલનો એક ભાગ અથવા સ્લેબ  અચાનક ધરાશાયી થતાં ત્યાં કામ કરી રહેલા શ્રમિકો તેની નીચે દટાયા હતા. ઘટનામાં આશરે 15 જેટલા શ્રમિકોને ઇજા પહોંચી હતી

બોસ્કી એમ્પાયર સાઇટ નિલેશ મોદીની હોવાનું સામે આવ્યું, કોન્ટ્રાક્ટરોની ગેરહાજરી પર સવાલ

ગાંધીનગરના કુડાસણમાં બનેલી બોસ્કી એમ્પાયર કન્સ્ટ્રક્શન સાઇટ પેથાપુરના બિલ્ડર નિલેશ મોદીની હોવાનું સામે આવ્યું છે અને ગાંધીનગરમાં તેમની અન્ય પણ અનેક બાંધકામ સાઇટો હોવાની માહિતી મળી છે. આ સાઇટ છેલ્લા આશરે 12 મહિનાથી કાર્યરત હતી અને પ્રવીણ મેડા, શાહીલ તથા યશ ચૌધરી નામના ત્રણ કોન્ટ્રાક્ટરો દ્વારા કામગીરી કરાવવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે. મહત્વની વાત એ છે કે દુર્ઘટના સમયે ત્રણેય કોન્ટ્રાક્ટર સ્થળ પર હાજર ન હોવાનું સામે આવતા બાંધકામ સાઇટની દેખરેખ અને સલામતી વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ચોથા માળે ધાબું ભરવાની કામગીરી દરમિયાન અચાનક સ્ટ્રક્ચરનો ભાગ ધરાશાયી થતાં અનેક શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા અને અત્યાર સુધીમાં 13 જેટલા ઈજાગ્રસ્તોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

શ્રમિકોની સુરક્ષા સામે ગંભીર સવાલો 

ગાંધીનગરના કુડાસણમાં ‘બોસ્કી ધ એમ્પાયર’ની નિર્માણાધીન સાઇટ પર સ્લેબનું સ્ટ્રક્ચર ધરાશાયી થતાં સર્જાયેલી દુર્ઘટનાએ બાંધકામ સાઇટ પર શ્રમિકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. દુર્ઘટના બાદ SDRF, NDRF, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો કલાકોથી કાટમાળ હટાવી કોઈ વ્યક્તિ ફસાઈ નથી તેની ખાતરી કરવા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 15 ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા છે અને હાલ કોઈ વ્યક્તિ કાટમાળ નીચે ફસાયેલો નથી, છતાં સાવચેતીના ભાગરૂપે બચાવ કામગીરી ચાલુ રહેશે. બીજી તરફ ઈજાગ્રસ્ત શ્રમિકોની ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હવે સવાલ માત્ર બચાવ કામગીરીનો નથી, પરંતુ બાંધકામ દરમિયાન સલામતીના નિયમોનું કેટલું પાલન થયું હતું અને શ્રમિકોની સુરક્ષાની જવાબદારી કોણે નિભાવી હતી તેનો પણ છે. રેસ્ક્યૂ બાદ દુર્ઘટનાનું કારણ અને જવાબદારી નક્કી કરવા તપાસ જરૂરી બની છે.

Gandhinagar Kudasan Wall Collapse, 7+ Workers Injured

બોસ્કી દુર્ઘટનામાં કાટમાળ હટ્યા બાદ ખુલશે કારણ, FSL સહિતની ટીમો સ્થળે

ગાંધીનગરના કુડાસણમાં બોસ્કી બિલ્ડિંગ દુર્ઘટના બાદ રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ FSLની ટીમ ઘટનાસ્થળે હાજર છે. હાલ તંત્રની પ્રથમ પ્રાથમિકતા કાટમાળ સંપૂર્ણપણે દૂર કરીને કોઈ વ્યક્તિ અંદર ફસાઈ નથી તેની ખાતરી કરવાની છે. કાટમાળ હટાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ FSL અને સંબંધિત વિભાગોની ટીમ દ્વારા સ્થળનું ટેકનિકલ નિરીક્ષણ કરી સ્લેબ ધરાશાયી થવા પાછળનું ચોક્કસ કારણ શોધવામાં આવશે.

બોસ્કી બિલ્ડિંગ દુર્ઘટનામાં 15 ઈજાગ્રસ્ત, 12ની સારવાર ચાલુ; કોઈ જાનહાનિ નહીં

ગાંધીનગરની નિર્માણાધીન બોસ્કી બિલ્ડિંગમાં સ્લેબ ધરાશાયી થવાની ઘટનાને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 15 લોકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 12 લોકો હાલ સારવાર હેઠળ છે અને કેટલાકની ICUમાં સારવાર ચાલી રહી છે. સંઘવીએ સ્પષ્ટ કર્યું કે સદનસીબે અત્યાર સુધી કોઈનું મૃત્યુ થયું નથી અને કાટમાળમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. જોકે, કોઈ વ્યક્તિ હજુ પણ કાટમાળ નીચે દટાયેલી નથી તેની ખાતરી કરવા માટે રાહત-બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી છે અને તંત્ર દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે.

 


બોસ્કી દુર્ઘટનામાં 15 ઈજાગ્રસ્તોમાંથી 3ને રજા, 12ની સારવાર ચાલુ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે બોસ્કી ધ એમ્પાયર દુર્ઘટનામાં સ્લેબ તૂટી પડતાં કુલ 15 લોકોને ઈજા પહોંચી હતી, જેમાંથી સામાન્ય ઈજા પામેલા ત્રણ લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ 12 ઈજાગ્રસ્તોની ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તમામની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે. હવે તંત્રનું મુખ્ય ધ્યાન કાટમાળ હટાવવા અને રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરવા પર છે. કાટમાળમાં કોઈ વ્યક્તિ ફસાઈ નથી તેની સંપૂર્ણ ખાતરી કરવા માટે જવાબદારીપૂર્વક બચાવ કામગીરી આગળ ધપાવવામાં આવશે.

બોસ્કી ધ એમ્પાયર દુર્ઘટનામાં 12 શ્રમિકો હોસ્પિટલ ખસેડાયા, હર્ષ સંઘવીએ આપી મહત્વની માહિતી


નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગાંધીનગરના બોસ્કી ધ એમ્પાયરમાં બનેલી દુર્ઘટના બાદ 15 લોકોમાંથી 12 શ્રમિકોને તાત્કાલિક રેસ્ક્યુ કરી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને તમામની હાલત સ્થિર છે. સાઇટ મેનેજરના જણાવ્યા મુજબ હવે કોઈ વ્યક્તિ ફસાયેલું નથી, તેમ છતાં તંત્ર દ્વારા આખી રાત બચાવ કામગીરી ચાલુ રાખીને કાટમાળમાં કોઈ શ્રમિક દટાયેલો નથી તેની ખાતરી કરવામાં આવશે. સાથે જ ટેકનિકલ ટીમ દ્વારા દુર્ઘટનાના કારણો અને બાંધકામ કામગીરીની તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે.

 


કુડાસણમાં 2 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન, કાટમાળ નીચે ફસાયેલા શ્રમિકોને બચાવવાના પ્રયાસો તેજ

ગાંધીનગરના કુડાસણમાં બાંધકામ સાઇટ પર બનેલી દુર્ઘટના બાદ છેલ્લા બે કલાકથી ફસાયેલા શ્રમિકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. કાટમાળમાં દટાયેલા શ્રમિકો સુધી પહોંચવા માટે એસડીઆરએફ, એનડીઆરએફ અને ફાયર બ્રિગેડના જવાનો સતત મહેનત કરી રહ્યા છે. ભારે કાટમાળ અને લોખંડના સ્ટ્રક્ચરને કારણે બચાવ કામગીરી પડકારજનક બની છે, છતાં ટીમો જીવ બચાવવાની કામગીરીમાં સતત જોતરાયેલી છે.


 


બોસ્કી સ્કીમમાં બે બિલ્ડિંગ જોડતો સ્લેબ તૂટ્યો, 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત

હાલ મળતી નવી માહિતી મુજબ ગાંધીનગરની બોસ્કી સ્કીમમાં બે બિલ્ડિંગને જોડતા ત્રીજા માળના સ્લેબનો ભાગ અચાનક તૂટી પડતાં 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. દુર્ઘટના બાદ સ્લેબના લોખંડ અને કાટમાળને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બચાવ કામગીરીમાં ગાંધીનગર પોલીસ અને ફાયર બ્રિગેડ ઉપરાંત CRPF તથા NDRFની ટીમો પણ જોડાઈ છે. ઘટનાની ગંભીરતા વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, DGP જી.એસ. મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહી સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનની દેખરેખ કરી રહ્યા છે.

ઈજાગ્રસ્તનો ખુલાસો, ‘ધાબું ભરતી વખતે અચાનક સ્લેબ તૂટી પડ્યો’

કુડાસણની બાંધકામ સાઇટ પર થયેલી દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત એક શ્રમિકે ઘટનાની આંખેદેખી હકીકત જણાવી છે. તેમના જણાવ્યા મુજબ, ધાબું ભરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક સ્લેબ નીચે ધસી પડ્યો હતો, જેના કારણે કામ કરી રહેલા શ્રમિકો કાટમાળમાં દબાઈ ગયા હતા. ઈજાગ્રસ્તના કહેવા પ્રમાણે દુર્ઘટના સમયે સ્થળ પર અંદાજે 25થી 30 શ્રમિકો કામ કરી રહ્યા હતા, જેના કારણે દુર્ઘટનાની ગંભીરતા વધુ વધી છે.

Gandhinagar Kudasan Wall Collapse, 7+ Workers Injured

અમદાવાદ AMCની રેસ્ક્યુ ટીમ ગાંધીનગર જવા રવાના

ગાંધીનગરના કુડાસણમાં બોસ્કી બિલ્ડિંગની કન્સ્ટ્રક્શન સાઇટ પર બનેલી દુર્ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર ઇમરજન્સી રેસ્પોન્ડર ટીમને પણ મદદ માટે તૈનાત કરવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રેસ્ક્યુ કામગીરીમાં સહાય માટે AMCની ટીમ ગાંધીનગર તરફ રવાના થઈ છે, જે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરીમાં સ્થાનિક તંત્રને સહયોગ આપશે.

Gandhinagar Wall Collapse Live


અત્યાર સુધી 12 ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા

ગાંધીનગરના કુડાસણમાં બાંધકામ સાઇટ પર બનેલી દુર્ઘટના બાદ અત્યાર સુધીમાં 12 લોકોને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે બીજી તરફ ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ, પોલીસ અને એસડીઆરએફની ટીમો દ્વારા કાટમાળ હટાવીને રેસ્ક્યુ કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

 



ડીજીપી પણ સ્થળ પર પહોંચ્યા

નિર્માણાધીન સાઇટ દૂર્ઘટનામાં હાલ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં હાજર છે. દરમિયાન મળેલી માહિતી મુજબ ડીજીપી જી.એસ.મલિક પણ સ્થળ પર પહોંચ્યા છે અને બચાવ કાર્યની માહિતી મેળવી રહ્યા છે.

 


ચોથા માળે ધાબુ ભરવાની કામગિરી કરાતી હતી

હાલ મળતી માહિતી મુજબ ચોથા માળે ધાબુ ભરવાની કામગિરી કરાતી હતી ત્યારે અચાનક સ્લેબ સેન્ટીગનું સ્ટ્રક્ચર ધરાશાયી થવાના કારણે આ દૂર્ઘટના સર્જાઇ છે. ઘટનાના પગલે હાલ એસડીઆરએફ, ફાયર બ્રિગેડ અને પોલીસ હાલ સ્થળ પર બચાવ કાર્ય કરી રહી છે કાટમાળને હટાવવા હેવી ક્રેઇનની મદદ લેવામાં આવી રહી છે.

 



પ્રફુલ પાનશેરીયા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, તબીબોને એલર્ટ રહેવા સૂચના

કુડાસણની બાંધકામ સાઇટ પર બનેલી ગંભીર દુર્ઘટનાને પગલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે માહિતી મેળવી તબીબી ટીમને તમામ જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. તમામ તબીબોને હાજર રહેવા તેમજ ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે માટે જરૂરી દવાઓ સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ રાખવા પણ આદેશ આપવામાં આવ્યા છે.

Gandhinagar Wall Collapse Live

20થી વધુ લોકો ફસાયા હોવાની માહિતી

ગાંધીનગરના કુડાસણમાં ‘બોસ્કી ધ એમ્પાયર’ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. હાલમાં જ મળેલી પ્રાથમિક માહિતી મુજબ કાટમાળ નીચે 20થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત શ્રમિકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં 11થી વધુ લોકો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ફાયર વિભાગની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સ્થળ પર પહોંચીને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.

Gandhinagar Wall Collapse Live

 બોસ્કાય બિલ્ડિંગ સાઇટ ધરાશાયી

ગાંધીનગરના કુડાસણમાં  બોસ્કી ધ એમ્પાયર નામની બિલ્ડિંગની કન્સ્ટ્રક્શન સાઇટનો સ્લેબ ધડાકા સાથે ધરાશાયી થતાં ભારે અફરાતફરી મચી છે. પ્રાથમિક માહિતી મુજબ કાટમાળ નીચે 7થી 8 લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસે સંયુક્ત રીતે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સમગ્ર બચાવ કામગીરીની સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.

 વેલ્ડિંગ દરમિયાન ક્રેન ધરાશાયી, 10થી 15 શ્રમિકો હોસ્પિટલ ખસેડાયા

ગાંધીનગરના કુડાસણમાં  બોસ્કી ધ એમ્પાયર બિલ્ડિંગની કન્સ્ટ્રક્શન સાઇટ પર ઉપરના માળે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ક્રેન ધરાશાયી થતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનામાં અંદાજે 10થી 15 શ્રમિકોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ કાટમાળ હટાવી ફસાયેલા લોકોને શોધવા અને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ તથા પોલીસની ટીમો દ્વારા બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.



Gandhinagar Kudasan Wall Collapse, 7+ Workers Injured

સ્લેબ ધરાશાયી થયો હોવાની માહિતી

 બોસ્કી ધ એમ્પાયર બિલ્ડિંગની કન્સ્ટ્રક્શન સાઇટ પર સ્લેબ ધરાશાયી થતાં કાટમાળ નીચે લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે અને કાટમાળ દૂર કરી દટાયેલા લોકોને શોધવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે અને કાટમાળ હટાવવાની સાથે અંદર ફસાયેલા લોકો અંગે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.

Gandhinagar Kudasan Wall Collapse, 7+ Workers Injured

હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચ્યા

ગાંધીનગરના કુડાસણ ખાતે  બોસ્કી ધ એમ્પાયર કન્સ્ટ્રક્શન સાઇટ પર બનેલી દુર્ઘટનાને પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચ્યા છે. કુડાસણમાં દીવાલ ધરાશાયી થતાં 7થી વધુ કામદારો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ બાદ તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટના અંગે સ્થળ પર પહોંચીને અધિકારીઓ પાસેથી સમગ્ર માહિતી મેળવવામાં આવશે.


Gandhinagar Kudasan Wall Collapse, 7+ Workers Injured


ક્રેન તૂટી પડતાં 10થી 15 શ્રમિકો દબાયા હોવાની આશંકા


કુડાસણની કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક મહાકાય ક્રેન ધડાકાભેર નીચે પટકાઈ હતી. ક્રેન પડતાં નીચે કામ કરી રહેલા આશરે 10થી 15 શ્રમિકો કાટમાળ અને ક્રેનના ભારે ભાગો નીચે ફસાયા હોવાની આશંકા છે. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઈ છે અને દબાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.


રેસ્ક્યુ માટે 4થી વધુ ફાયર ગાડીઓ ખડકી


કુડાસણમાં બનેલી ગંભીર દુર્ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડની ચારથી વધુ ગાડીઓની મદદથી કાટમાળ અને ક્રેનના ભારે ભાગો નીચે ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન તેજ બનાવાયું છે. બીજી તરફ, ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી સારવાર અપાય તે માટે એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની ગંભીરતા જોતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સ્થિતિનો તાગ મેળવવા ઘટનાસ્થળે જવા રવાના થયા છે.


દિવાલ તૂટી પડતા સાઇટ પર મચી અફરાતફરી

પ્રાથમિક જાણકારી મુજબ, દિવાલનો ભાગ ધરાશાયી થતાં 7થી વધુ શ્રમિકોને ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને સાઇટ પરના અન્ય કામદારો મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Gandhinagar Kudasan Wall Collapse, 7+ Workers Injured

બાંધકામની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલ

આ દુર્ઘટનામાં શ્રમિકોને કેવી રીતે ઈજા પહોંચી અને દિવાલનો ભાગ કયા કારણોસર ધરાશાયી થયો તે અંગે હજુ વધુ વિગતો સામે આવવાની બાકી છે. જોકે, બાંધકામ સાઇટ પર શ્રમિકોની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી કે નહીં તે મુદ્દે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

 


7થી વધુ શ્રમિકો હોસ્પિટલ પહોંચ્યા

હાલ ઈજાગ્રસ્ત શ્રમિકોની ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઘટનાની ચોક્કસ પરિસ્થિતિ, ઈજાગ્રસ્તોની સ્થિતિ અને દુર્ઘટનાનું કારણ તપાસ બાદ વધુ સ્પષ્ટ થશે.  



આ પણ વાંચો  :   Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું