calendar_todaySeptember 6, 2026
Gir Somnath: સોમનાથ મહાદેવનો 1.25 લાખ બિલ્વપત્રોથી દિવ્ય શૃંગાર; હજારો ભક્તોએ લીધો દર્શનનો લાભ
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં નિત નવા દિવ્ય મનોરથો અને શૃંગારનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત શ્રાવણ શુક્લ દશમીના પાવન અવસરે સોમનાથ મહાદેવના સ્વયંભૂ જ્યોતિર્લિંગ પર 1.25 લાખથી વધુ પવિત્ર અને લીલાછમ બિલ્વપત્રોનો વિશેષ અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો.
સોમનાથમાં ભક્તિનો મહાસાગર
શાસ્ત્રોમાં શિવપૂજનમાં બિલ્વપત્રનું અનન્ય મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. ત્યારે એક લાખ પચીસ હજારથી વધુ બિલ્વપત્રોથી સજાવેલા મહાદેવના આ દિવ્ય રૂપના દર્શન કરીને પરિસરમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ ભાવવિભોર બની ગયા હતા. મહા પૂજા અને શૃંગાર આરતી સમયે મંદિરનું વાતાવરણ અત્યંત મંત્રમુગ્ધ કરી દે તેવું બની ગયું હતું. દેશ-વિદેશથી આવેલા હજારો શ્રદ્ધાળુઓએ સોમનાથ દાદાના આ અદ્વિતીય શૃંગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
જય સોમનાથ'ના નાદથી ગુંજી ઉઠ્યું પ્રથમ જ્યોતિર્લિંગ
શિવજીને પ્રિય એવા ત્રિદલ બિલ્વપત્રોને પૂજારીઓ દ્વારા મંત્રોચ્ચાર સાથે જ્યોતિર્લિંગ પર અર્પિત કરી આકર્ષક શણગાર રચવામાં આવ્યો હતો. શ્રાવણ માસના પવિત્ર દિવસો હોવાથી સવારથી જ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. સાંજના સમયે વિશેષ મહાઆરતી યોજાઈ હતી, જેમાં ડમરૂ, શંખનાદ અને ઢોલ-નગારાના તાલ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.
આ પણ વાંચો: Jetpur: ધારાસભ્ય જયેશ રાદડિયા રાઇડ્સમાં બેઠા અને બાળકીને રમકડું ભેટ આપ્યું