calendar_todayAugust 28, 2026
Gir Somnath News : વરસાદી સંકટ ટાળવા સોમનાથમાં મહાપૂજા, નેપાળ દુર્ઘટનાના મૃતકો માટે પણ પાઠવાઈ શ્રદ્ધાંજલિ
ગુજરાતમાં વરસાદનું સંકટ દૂર થાય અને રાજ્યભરમાં સાર્વત્રિક સારો વરસાદ થાય તે હેતુથી ગીર સોમનાથ સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ધામમાં એક વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથ તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત આ ધાર્મિક અનુષ્ઠાનમાં મોટી સંખ્યામાં ભૂદેવો એકઠા થયા હતા. સમગ્ર ગુજરાત પર મેઘરાજાની કૃપા બનેલી રહે અને ખેડૂતો તેમજ નાગરિકો પરથી જળસંકટ ટળે તે માટે ભગવાન સોમનાથના ચરણોમાં ભાવપૂર્વક પ્રાર્થના કરવામાં આવી હતી.
પવિત્ર જળ, દૂધ અને શેરડીના રસથી સોમનાથ દાદાનો મહાઅભિષેક
આ વિશેષ પૂજા દરમિયાન ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે સોમનાથ મહાદેવનો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો. સોમનાથ દાદાને પવિત્ર ત્રિવેણી સંગમનું જળ, વાસ, દૂધ તેમજ શેરડીના રસથી અભિષેક કરાયો હતો. ધાર્મિક માન્યતા અનુસાર મહાદેવને દૂધ અને શેરડીના રસનો અભિષેક કરવાથી રાજ્યમાં સમૃદ્ધિ આવે છે અને કુદરતી આફતો ટળે છે. મોટી સંખ્યામાં હાજર રહેલા ભૂદેવોના મંત્રોચ્ચારથી સોમનાથ તીર્થધામનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
નેપાળ દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના
આ ધાર્મિક પ્રસંગે માત્ર રાજ્યમાં સારા વરસાદની કામના જ નહીં, પરંતુ વિશ્વશાંતિ અને માનવતાના ધોરણે પણ વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. તાજેતરમાં નેપાળમાં સર્જાયેલી દુઃખદ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોની આત્માની શાંતિ માટે સોમનાથ મહાદેવના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. સોમપુરા બ્રાહ્મણ સમાજના ભૂદેવોએ શોકગ્રસ્ત પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે પણ મહાદેવ પાસે વિશેષ યાચના કરી હતી.
આ પણ વાંચો : Surat: વ્હોટ્સએપ-ટેલિગ્રામ ટાસ્ક ફ્રોડમાં 5.98 લાખની ઠગાઈ કરનાર રત્નકલાકાર સંજય બારૈયા ઝડપાયો