calendar_todayJanuary 11, 2026
Gir Somnath SwabhimanParv: PM મોદીએ સોમનાથ મહાદેવના ચરણે શીશ ઝુકાવ્યું
દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરની મુલાકાત લઈને મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા.
મહાદેવનો જળાભિષેક અને પૂજા-અર્ચના
સોમનાથ આગમન પર વડાપ્રધાન મોદીનું મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે સોમનાથ મહાદેવનો જળાભિષેક કર્યો હતો અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. સમગ્ર મંદિર પરિસર 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
આસ્થા અને શૌર્યનું સંગમ
વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સોમનાથ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ તે ભારતના અતૂટ શૌર્ય અને આત્મગૌરવનું પ્રતીક છે. અનેક આક્રમણો છતાં આ મંદિરની ભવ્યતા અને શ્રદ્ધા અકબંધ રહી છે, જે ભારતના પુનરુત્થાનની ગાથા કહે છે.
https://x.com/sandeshnews/status/2010224190063030337
વીર હમીરસિંહ ગોહિલને શ્રદ્ધાંજલિ
મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિરના રક્ષણ કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદ વીર હમીરસિંહ ગોહિલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. તેમણે મંદિરની રક્ષા માટે બલિદાન આપનારા તમામ વીરોને નમન કર્યા હતા. દર્શન અને પૂજા બાદ વડાપ્રધાન એક વિશાળ જનસભાને સંબોધશે, જેમાં તેઓ સોમનાથના વિકાસ અને સાંસ્કૃતિક વારસા અંગે મહત્વની વાતો રજૂ કરશે.