calendar_todaySeptember 2, 2026
Hathnikund Barrage: યમુના નદીના જોરદાર પ્રવાહમાં પલટી આર્મીની બોટ, વન પેરા સ્પેશિયલ ફોર્સના જવાનો ગુમ
હરિયાણાના યમુનાનગર જિલ્લામાં આવેલા હથનીકુંડ બેરેજ ખાતે ચાલી રહેલી એક સૈન્ય કવાયત દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ છે. હરિયાણા-હિમાચલ સરહદ પર આવેલા આ સંવેદનશીલ વિસ્તારમાં પૂર બચાવ અભ્યાસની કવાયત ચાલી રહી હતી, તે દરમિયાન સેનાની એક મોટર બોટ યમુના નદીના જોરદાર અને ભયજનક પ્રવાહની વચ્ચે ફસાઈ ગઈ હતી. અચાનક પ્રવાહ વધી જવાના કારણે આ બોટ પલટી ગઈ અને નદીમાં ડૂબી ગઈ હતી, જેના કારણે સૈનિકોના ગુમ થયાની આશંકા સેવાઈ રહી છે.
નાવ પલટી જતા સૈનિકો ડૂબ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, આ કવાયતમાં આર્મીની પ્રતિષ્ઠિત "વન પેરા સ્પેશિયલ ફોર્સ" ના જવાનો ભાગ લઈ રહ્યા હતા. કસરત દરમિયાન મોટરબોટ અચાનક જોખમી ક્ષેત્રમાં પ્રવેશી જતાં આ દુર્ઘટના ઘટી હતી. બોટ પલટી જવાથી તેમાં સવાર કેટલાક સૈનિકો નદીમાં ફસાઈ ગયા હતા. જોકે, રાહતની વાત એ છે કે તેમાંથી ત્રણ જવાનો પોતાની કુશળતા દાખવીને લગભગ 600 મીટર સુધી તરીને સુરક્ષિત રીતે બહાર નિકળી જવામાં સફળ રહ્યા હતા. તેમ છતાં, એકથી બે સૈનિકો હજુ પણ ગુમ હોવાનું મનાઈ રહ્યું છે, જેને લઈને સુરક્ષા એજન્સીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે.
અનેક સૈનિકો બચ્યા પરંતુ હજુ પણ 2 ગુમ
ઘટનાની જાણ થતા જ હરિયાણા અને ઉત્તર પ્રદેશ પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આ ઉપરાંત, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) યમુનાનગરની વિશેષ બચાવ ટીમોને પણ તાત્કાલિક ધોરણે શોધખોળ અભિયાનમાં કામે લગાવવામાં આવી છે. લાંબી જહેમત બાદ નદીના ઊંડા પાણીમાંથી ડૂબી ગયેલી આર્મી મોટરબોટને બહાર કાઢવામાં સફળતા મળી છે, પરંતુ ગુમ થયેલા જવાનોની ભાળ મેળવવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ પૂરજોશમાં ચાલુ છે.
ગુમ થયેલા સૈનિકોની શોધખોળ શરૂ કરાઇ
આ સંવેદનશીલ મામલે પ્રતાપનગર પોલીસે આ ઘટનાને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો વિષય ગણાવીને હાલમાં વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો છે. સૈન્ય પ્રશાસન અને સ્થાનિક તંત્ર દ્વારા ગુમ થયેલા જવાનોની શોધખોળ માટે તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.