calendar_todayAugust 30, 2026
Lucknow : રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું 'આજે દુનિયા ભારતની વાત ધ્યાનથી સાંભળે છે'
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનવાના સંકલ્પ સાથે ઝડપથી આગળ વધી રહ્યું છે. લખનઉમાં એક કાર્યક્રમને સંબોધતા તેમણે જણાવ્યું કે આજે સમગ્ર વિશ્વ ભારતની પ્રગતિ અને તેની વધતી વૈશ્વિક પ્રતિષ્ઠાને સ્વીકારી રહ્યું છે.
રાજનાથ સિંહે કહ્યું કે લગભગ 10થી 12 વર્ષ પહેલાં આંતરરાષ્ટ્રીય મંચો પર ભારત પોતાની વાત રજૂ કરતું ત્યારે તેને હંમેશા અપેક્ષિત ગંભીરતા મળતી નહોતી. જોકે, આજે જ્યારે ભારત વૈશ્વિક મંચ પર પોતાની વાત રજૂ કરે છે ત્યારે સમગ્ર વિશ્વ તેને ધ્યાનપૂર્વક સાંભળે છે. તેમના મતે, આ ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે હાંસલ કરેલી પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતાનું પરિણામ છે.
યુવાનોને આગળ વધવા માટે પૂરતી તકો મળે
રક્ષા મંત્રીએ 'વિકસિત ભારત'ના અર્થ અંગે પણ વિસ્તૃત વાત કરી. તેમણે કહ્યું કે વિકસિત ભારતનો અર્થ માત્ર મોટા પ્રોજેક્ટ્સ, આધુનિક ઈમારતો કે શહેરોના વિકાસ સુધી મર્યાદિત નથી. સાચો વિકાસ ત્યારે કહેવાય જ્યારે દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, દરેક ઘરમાં સ્વચ્છ પાણી પહોંચે અને યુવાનોને આગળ વધવા માટે પૂરતી તકો મળે. તેમણે વધુમાં કહ્યું કે દિવ્યાંગ બાળકોને પણ સમાજથી પાછળ રહી ગયાની લાગણી ન થાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. તેમના મતે, આ જ વાસ્તવિક વિકાસની ઓળખ છે.
વિકાસનો લાભ દરેક વિસ્તાર સુધી પહોંચવો જોઈએ
રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું કે વિકસિત ભારત બનાવવાની યાત્રા માત્ર મોટા શહેરો સુધી સીમિત ન રહેવી જોઈએ. વિકાસનો લાભ દરેક વિસ્તાર, દરેક મહોલ્લા અને દરેક પરિવાર સુધી પહોંચવો જોઈએ. તેમણે ઉત્તર પ્રદેશ અને લખનઉમાં મુખ્યમંત્રી દ્વારા આ દિશામાં કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી અને તેમના કાર્યને સમર્પણ તથા નિષ્ઠા સાથે આગળ વધારવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું.
આ પણ વાંચો : West Bengal: અભિષેક બેનર્જીની મુશ્કેલી વધી, મંગળવારે હાજર થવા આદેશ