calendar_todayJanuary 31, 2026
Maharashtra : DyCM સુનેત્રા પવારને કયા વિભાગોની મળી કમાન? વાંચો આ અહેવાલ
અજિત પવારના નિધન બાદ તેમના પત્ની સુનેત્રા પવારે શનિવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. સુનેત્રા પવારને રમતગમત અને યુવા કલ્યાણ વિભાગ, રાજ્ય આબકારી અને લઘુમતી બાબતો વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે, અજિત પવાર જે નાણાં વિભાગ સંભાળતા હતા તે તેમને આપવામાં આવ્યો નથી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ વિભાગ જાળવી રાખશે. જોકે, એવું પણ સામે આવ્યું છે કે NCP નેતાઓ આ વિભાગ તેમની પાર્ટીને સોંપવાની માગ કરી રહ્યા છે. હાલમાં બંને પક્ષોના ટોચના નેતાઓ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જોકે, એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે સુનેત્રાને અજિત પવાર પાસે રહેલા તમામ વિભાગો મળશે.
આ વખતે કોણ બજેટ રજૂ કરશે?
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર લખીને મંત્રાલયની જાણકારી આપી છે. સુનેત્રા પવાર સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે, નાણા મંત્રાલયની સાથે આયોજન વિભાગ પણ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાસે રહેશે. તેઓ આ વર્ષે એટલે કે, 2026નું બજેટ રજૂ કરશે. એવું માનવામાં આવે છે કે તેમના અનુભવને કારણે, ફડણવીસ હાલમાં આ મંત્રાલય જાળવી રાખશે, કારણ કે તેઓ આ વર્ષના બજેટની તૈયારી માટે જવાબદાર રહેશે. નોંધનીય છે કે ફડણવીસે 2023માં નાણા મંત્રાલય પણ સંભાળ્યું હતું.
ભત્રીજા રોહિત પવારે પ્રતિક્રિયા આપી
સુનેત્રા પવારની નાયબ મુખ્યમંત્રી તરીકે નિમણૂક બાદ તેમના ભત્રીજા રોહિત પવારે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે સુનેત્રા કાકી રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી છે તે આનંદની વાત છે. સત્ય એ છે કે, અજિત દાદાનું સ્થાન કોઈ લઈ શકે નહીં, પરંતુ ઓછામાં ઓછું સુનેત્રા કાકીના રૂપમાં આપણે ત્યાં અજિત દાદાની એક ઝલક જોઈ શકીશું. અપાર દુઃખ અને આપણે બધા શોકમાં છીએ તે હકીકત હોવા છતાં આપણે તેમને કેવી રીતે શુભેચ્છા પાઠવીએ તે સમજમાં આવતું નથી.
વડાપ્રધાન મોદીએ સુનેત્રા પવારને અભિનંદન પાઠવ્યા
વડાપ્રધા નરેન્દ્ર મોદીએ સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા બાદ અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, "સુનેત્રા પવારજીને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ શરૂ કરવા બદલ અભિનંદન, આ જવાબદારી સંભાળનાર પ્રથમ મહિલા. મને વિશ્વાસ છે કે તેઓ રાજ્યના લોકોના કલ્યાણ માટે અથાક મહેનત કરશે અને સ્વર્ગસ્થ અજિત દાદા પવારના વિઝનને પૂર્ણ કરશે."
આ પણ વાંચો : Sunetra Pawar બન્યા મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન, PM મોદીએ કહ્યું 'અજિત દાદાના સપનાને પુરા કરશે'