android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Maharashtra Politics: વોટિંગ પહેલા જ મહાયુતિનો દબદબો! 69માંથી 68 બેઠકો પર બિનહરીફ જીત

calendar_todayJanuary 3, 2026

Maharashtra Politics: વોટિંગ પહેલા જ મહાયુતિનો દબદબો! 69માંથી 68 બેઠકો પર બિનહરીફ જીત

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીમાં મતદાન પહેલાં જ રસપ્રદ સમાચાર સામે આવ્યા છે.  શાસક મહાયુતિ ગઠબંધને 69 માંથી 68 બેઠકો બિનહરીફ જીતી લીધી છે. ભાજપને સૌથી વધુ ફાયદો થયો છે, તેના 44 ઉમેદવારો બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે. આ સમાચાર 2 જાન્યુઆરીએ ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ પછી આવ્યા છે.

2 જાન્યુઆરીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની હતી છેલ્લી તારીખ 

ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની પ્રક્રિયા દરમિયાન મહારાષ્ટ્રભરમાં શાસક પક્ષોએ બળવાખોરોને શાંત કરવા માટે વ્યાપક પ્રયાસો કર્યા. નાસિકથી સોલાપુર અને મુંબઈથી નાગપુર સુધી રાજકીય તણાવ અને નાટક સ્પષ્ટપણે જોવા મળ્યું. સોલાપુરમાં ભાજપના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હોવાના અહેવાલ છે, જેમાં એક પક્ષના કાર્યકરનું મોત થયું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ તૈનાત કરવી પડી હતી.

બળવાખોરોને શાંત કરાયા 

  • નાસિકમાં ભાજપના કાર્યકરોએ બહારના ઉમેદવારોને ટિકિટ આપવા પર ભારે નારાજગી વ્યક્ત કરી, જેના કારણે નેતાઓ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર દલીલો થઈ.
  • મુંબઈમાં  પાર્ટી નેતૃત્વના પ્રયાસો છતાં, વોર્ડ 60, 173, 205, 177 અને 180 માં પાંચ બળવાખોર ભાજપના ઉમેદવારો મેદાનમાં રહ્યા. દરમિયાન  ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે લગભગ નવ વોર્ડમાં બળવાખોરોને શાંત કરવામાં નિષ્ફળ ગયા.
  • ભિવંડીમાં ઠાકરે જૂથો વચ્ચેનું ગઠબંધન તૂટી ગયું, અને બંને પક્ષોએ એકબીજા સામે ઉમેદવારી નોંધાવી.
  • પનવેલમાં મહા વિકાસ આઘાડીના સાત ઉમેદવારોએ પાછા ખેંચી લીધા જેના કારણે ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા.
  • નાગપુરમાં, ભાજપના બળવાખોર કિસન ગાવંડેને સમર્થકો દ્વારા તેમના ઘરમાં બંધક બનાવવામાં આવ્યા હોવાનો આરોપ છે, પરંતુ તેમણે બાદમાં પાર્ટીની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી.
  • કોંગ્રેસના નેતાઓ વિકાસ ઠાકરે અને નીતિન રાઉતે બળવાખોરોને શાંત કરવાનો પ્રયાસ કરતા દિવસ વિતાવ્યો.
  • છત્રપતિ સંભાજીનગરમાં, ભાજપના કાર્યકરોએ પાર્ટી દ્વારા બહારના ઉમેદવારોને પસંદ કરવામાં આવતા વિરોધ કર્યો.
  • ઘણા બળવાખોરોએ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું, પરંતુ પ્રશાંત ભદાણે-પાટીલે વોર્ડ નંબર 2 માંથી પદ છોડવાનો ઇનકાર કર્યો હતો.
  • IANS અનુસાર, 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં કુલ 69 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા, જેમાં ભાજપના 44, શિવસેનાના 22, અજિત પવારના NCPના બે અને ઇસ્લામિક પાર્ટીના એકનો સમાવેશ થાય છે.

કલ્યાણમાં સૌથી વધુ બેઠકો જીતી

મ્યુનિસિપલ સ્તરે ભાજપે કલ્યાણમાં સૌથી વધુ 15 બેઠકો જીતી હતી. આ પછી ભિવંડી, પનવેલ અને જલગાંવમાં છ-છ બેઠક જીતી, શિવસેનાએ થાણેમાં સાત, કલ્યાણમાં સાત અને જલગાંવમાં છ બેઠકો જીતી હતી. અજિત પવારની NCPએ જલગાંવમાં બે બેઠકો જીતી હતી, અને ઇસ્લામિક પાર્ટીએ માલેગાંવમાં એક બેઠક જીતી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી 15 જાન્યુઆરીએ યોજાશે.