android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Morbi: રાધાકૃષ્ણ જ્વેલર્સની દિવાલ તોડી 17.24 લાખની ચોરી; તસ્કરો સોના-ચાંદીનો મુદ્દામાલ ઉઠાવી ગયા

calendar_todaySeptember 8, 2026

Morbi: રાધાકૃષ્ણ જ્વેલર્સની દિવાલ તોડી 17.24 લાખની ચોરી; તસ્કરો સોના-ચાંદીનો મુદ્દામાલ ઉઠાવી ગયા

મોરબી શહેરના ગીચ અને ધમધમતા જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગના દાવાઓની હવા કાઢી નાખી છે. જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલી 'રાધાકૃષ્ણ જ્વેલર્સ' નામની સોના-ચાંદીના દાગીનાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. મોડી રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ ચાલાકીપૂર્વક દુકાનની પાછળની દિવાલ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં રાખવામાં આવેલા સોના-ચાંદીના કિંમતી દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

ચોરીથી સ્થાનિક વેપારીઓમાં ફાળ

સવારે ચોરીની જાણ થતાં જ દુકાનમાલિક સહિત આસપાસના વેપારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ચોરીની આ ઘટનાથી મોરબીના વેપારી આલમમાં ભારે ભય અને ચકચાર વ્યાપી ગઈ છે. તસ્કરો આ રાત્રિ દરોડા દરમિયાન દુકાનમાંથી કુલ રૂ. 17.24 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા છે. ચોરી થયેલા સામાનની વિગતો મુજબ, તસ્કરો 24 ગ્રામ સોનાના દાગીના, 6 કિલો 250 ગ્રામ ચાંદીના ઘરેણાં તેમજ 1.5 કિલો ચાંદીનો ભંગાર મળીને મોટી મત્તા ચોરી ગયા છે.

તસ્કરો સોના-ચાંદીનો મુદ્દામાલ ઉઠાવી ગયા

આ બનાવ અંગે દુકાનદાર દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસીને તસ્કરોનું સુરાગ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Anand: ડૉ. મનુભાઈ પટેલ આણંદ કૃષિ યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલર તરીકે નીમાયા