android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Opinion:પતંગ ચગાવવા જેમ પવનરૂપી નસીબ જોઈએ એમ જીવનમાં ગુરુ જોઈએ

calendar_todayJanuary 14, 2026

Opinion:પતંગ ચગાવવા જેમ પવનરૂપી નસીબ જોઈએ એમ જીવનમાં ગુરુ જોઈએ

ઉત્તરાયણ આવે એટલે આકાશમાં પતંગ ચગે તેની સાથે સોશિયલ મીડિયામાં પણ મોટિવેશનલ મેસેજનો મારો શરૂ થઈ જાય છે. કેટલા લોકો આ મેસેજ વાંચતાં હશે એ એક સવાલ છે. પરંતુ તેને આગળ જરૂર મોકલે છે. મોટાભાગના લોકો વાંચ્યા વગર જ આગળ ધકેલે છે. એમાં પણ હોડ લાગે છે. ખેર આજે વાત કરવી છે આ પર્વની. આપણે આમ પણ ઉત્સવપ્રિય લોકો છીએ. ગમે તે તહેવાર હોય તેને ઉજવી નાંખીએ છીએ. એમાં ધર્મ પણ આડે આવતો નથી.

પતંગ ચગાવવા જેમ પવન જોઈએ તેમ જીવનમાં પણ કોઈ ગુરુ જોઈએ. અહીં આજકાલ માધ્યમોમાં આવતાં ગુરુઓની વાત નથી. ગુરુ એટલે માર્ગદર્શક. પછી તે માતા કે પિતા કે ભાઈ કે બહેન કે સાથી કર્મચારી કે મિત્ર પણ હોય. બહુ ઓછા લોકોને સાચાં અર્થમાં ગુરુ મળે છે. અગાઉ કહ્યું તેમ પતંગ ચગાવવા નસીબ જોઈએ તેવું જ આમાં છે. પતંગ સાલા પવનને કારણે આકાશમાં સારી રીતે ચગી ગયો તો તમે રાજા. પછી તમારી સ્કિલ છે કે જે તમારા પતંગને ઉડતો રાખે છે. તમે બીજાના પતંગ કાપીને માથું ઊંચુ રાખો છો. જીવનમાં પણ તમને જો કોઇ સારો માર્ગદર્શક મળી જાય અને તમારી પ્રગતિ થાય તો તમે સમાજમાં ટટ્ટાર થઈને ફરો છો. તમે જે વ્યવસાય કે ધંધામાં હો તે આખરે તો તમારે જ ચલાવવાનો છે. યોગ્ય માર્ગદર્શન મળતું રહે તો તમે રાજા. પછી વાત આવે છે પતંગની જેમ ટકી રહેવાની. ઘણાં પતંગબાજો પોતાની સ્કિલથી લાંબો સમય આકાશમાં ઉડતા રહે છે. ઘણા લોકો તેમને કાપવાની પ્રયાસ કદે છે પણ તેમનું સ્થાન એવું થઈ ગયું હોય છે કે તેમને કોઇ કાપી શકતું નથી. જીવનમાં આપણે જોઈશું કે એકવાર વ્યક્તિને યોગ્ય લાઈન મળી જાય તો ગમે તેટલી હરીફાઇ કે અડચણો તેમને ડગાવી શકતી નથી. વિદ્યાર્થી જીવનને પણ આ વાત એટલી જ લાગુ પડે છે. મોટાભાગના વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન જ મળતું નથી. મા-બાપ તો પોતાની એષણા તેમના પર થોપે છે અથવા તો પાડોશીની ઈર્ષ્યા થોપે છે. બાળકને શું કરવું છે તે કોઇ પૂછતું નથી. એટલે જ તેમને મિત્રો વધુ ગમે છે. પરંતુ આ મિત્રો પાસે જીવનનો અનુભવ હોતો નથી એટલે સાચી દિશાનું સ્થાન મળતું નથી.

ઉત્તરાયણનો તહેવાર માત્ર આકાશમાં પતંગ ચગાવવાનો લ્હાવો નથી, પરંતુ તે જીવન જીવવાની એક અનોખી કળા પણ શીખવે છે. પતંગ અને માનવ જીવન વચ્ચે ઊંડી અને અર્થસભર સામ્યતા રહેલી છે. જો આપણે ધ્યાનથી વિચારીએ, તો પતંગના દરેક પેચમાં જીવનનો એક પાઠ છુપાયેલો છે.

જેમ પતંગને આકાશમાં ઊંચે લઈ જવા માટે પવનની દિશા અને યોગ્ય ખેંચની જરૂર પડે છે, તેમ જીવનમાં પ્રગતિ કરવા માટે સ્પષ્ટ લક્ષ્ય અને મહેનતની જરૂર હોય છે. પતંગ જેટલી ઊંચી જાય, તેટલો જ તેનો પવન સામેનો સંઘર્ષ વધે છે. જીવનમાં પણ જેમ જેમ આપણે સફ્ળતાના શિખરો સર કરીએ છીએ, તેમ તેમ જવાબદારીઓ અને પડકારો પણ વધતા જાય છે. પતંગ ચગાવવા માટે 'કન્ના' યોગ્ય રીતે બાંધેલા હોવા જરૂરી છે. જો પતંગનું સંતુલન બગડે તો તે ગોથાં ખાવા લાગે છે. તેવી જ રીતે, જીવનમાં પણ બુદ્ધિ અને ભાવનાઓ વચ્ચે સંતુલન હોવું અત્યંત જરૂરી છે. જો સંયમ અને સમજણનું બેલેન્સ ખોરવાય, તો જીવનની પતંગ પણ ડગમગવા લાગે છે. પતંગ ગમે તેટલી ઊંચી હોય, પણ તેની લગામ જમીન પર રહેલા વ્યક્તિના હાથમાં હોય છે. જીવનમાં આ દોર એટલે આપણા સંસ્કાર અને સંબંધો. આપણે ગમે તેટલા સફ્ળ થઈએ, પણ જો આપણા મૂળિયાં (પરિવાર અને મૂલ્યો) સાથે જોડાયેલા રહીશું, તો જ આપણે સુરક્ષિત રીતે ઊડી શકીશું. જ્યારે વ્યક્તિ અહંકારમાં આવીને આ દોર કાપી નાખે છે, ત્યારે તેનું પતન નિશ્ચિત હોય છે. આકાશમાં પતંગ કપાય ત્યારે 'કાપ્યો છે' ના નાદ સંભળાય છે. પતંગ કપાવવી એ અંત નથી, પણ ફરી નવી આશા સાથે નવી પતંગ ચગાવવાની શરૂઆત છે. જીવનમાં પણ નિષ્ફ્ળતાથી ડરવાને બદલે, પતંગબાજની જેમ ખેલદિલી રાખીને ફરીથી પ્રયત્ન કરવો જોઈએ. પતંગ આપણને શીખવે છે કે આકાશમાં ઊંચે ઊડવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે, પવનની સાથે નહીં. જીવનમાં મુશ્કેલીઓ આપણને નીચે પાડવા માટે નહીં, પણ વધુ ઊંચાઈ પર લઈ જવા માટે આવતી હોય છે. બસ, આપણી મહેનતની દોર મજબૂત હોવી જોઈએ.

હકીકતમાં તો પતંગની જેમ જ જીવન પણ એક સ્કિલનું કામ છે. પવન ના હોય અને પતંગને અવકાશમાં લઈ જવો એ ખાવાનો ખેલ નથી. એવી જ રીતે જીવનમાં અનેક અડચણ આવે, મુશ્કેલીઓ આવે પણ તેમાંથી બહાર તો વ્યક્તિએ પોતે જ આવવાનું છે. પવન ના હોય અને અવકાશમાં પતંગ લઈ જવા જે રીતે સ્કિલનો ઉપયોગ કરવામાં આવે છે એ જ રીતે અહીં પણ દરેકે આ અડચણમાંથી બહાર નીકળવાનું હોય છે.

કોઈ પણ વ્યકિત માટે એના માબાપથી વિશેષ કોઈ ગુરુ હોઈ શકે નહીં. શિક્ષક કે સીનિયર એક હદ સુધી મદદ કરી શકે. ગુરુ આધ્યાત્મિક માર્ગ બતાવી શકે. આજકાલ મોટિવેશનલ સ્પીકરનો રાફ્ડો ફટયો છે. પોડક્સ્ટ પણ મોટા પ્રમાણમાં થાય છે. એમાં દરેક વ્યકિત પોતાના સંઘર્ષની વાત કરે છે. કદાચ બઢાવી ચઢાવીને પણ કરતા હશે પરંતુ એમાંથી શીખવાનો અભિગમ રાખીએ તો કદાચ આપણને પણ મદદરૂપ બની શકે. આ દરેક મોટિવેશનલ સ્પીકર જે વાત કરે છે અથવા કોઈ પણ રમતના કોચ ખેલાડીને જે માર્ગદર્શન આપે છે એ પુસ્તકિયા જ્ઞાન જેવું હોય છે. છેવટે રમત તો જે તે ખેલાડીએ જ રમવાની હોય છે.

માટે જ માતા પિતા પર એવો ભાર મૂકવામાં આવે છે કે તેઓ પોતાની અધૂરી વાસના સંતાનો પાસેથી પૂરી કરાવવાના બદલે તેને છૂટો મૂકી માત્ર તેને ગાઈડ કરે. આવું થતું નથી અને થવાનું પણ નથી તો ઉપાય શું? બાળકોમાં વિશ્વાસ મૂકવો જોઈએ. આ પરસ્પર છે. સંતાનોએ પણ એવો વિશ્વાસ આપવો જોઈએ કે તેઓ જે કરે છે તે તેમની મરજીનું તો છે જ સાથે માતા પિતાની પ્રતિષ્ઠાને હાનિકારક નહીં હોય બલ્કે તે ગૌરવ અપાવનારું હશે. બસ આ ઉત્તરાયણે માતા પિતા અને સંતાનો આ વિશ્વાસનો પતંગ ચગાવશે તો જીવનરૂપી આકાશમાં તેઓ હંમેશાં ટોચ પર જ રહેશે.