calendar_todayMay 5, 2026
Palanpur News: લંગડીવાસમાં પતિએ પત્નીને છરાના ઘા ઝીંકી રહેંસી નાખી, 'ત્રણ તલાક'ની ધમકી આપતો હોવાનો આક્ષેપ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ત્રણ બત્તી વિસ્તારમાં આવેલા લંગડીવાસમાં લોહીલુહાણ જંગ ખેલાયો છે. અહીં રહેતા એઝાઝ અહેમદ અલ્લારખા નામના શખ્સે પોતાની પત્ની રેશ્માબાનું પર છરા વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઘરની અંદર જ પત્નીને છરાના અસંખ્ય ઘા ઝીંકી દેતા રેશ્માબાનુંનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે. મૃતક રેશ્માબાનું બે માસૂમ દીકરીઓની માતા હતી, જેમણે પિતાના ક્રોધમાં પોતાની માતા ગુમાવી છે.
પીયરીયાઓનો આક્ષેપ: સતત શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો
હત્યાની જાણ થતાં જ રેશ્માબાનુંના પીયરીયાઓ ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યા હતા. મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, એઝાઝ છેલ્લા ઘણા સમયથી રેશ્માબાનુંને ત્રાસ આપતો હતો. તે અવારનવાર પત્નીને "ત્રણ તલાક" આપી દેવાની ધમકી પણ આપતો હોવાનું સામે આવ્યું છે. સતત ચાલતા આ માનસિક અને શારીરિક ત્રાસનો કરૂણ અંત હત્યામાં પરિણમતા પિયર પક્ષના લોકોમાં ભારે રોષ અને ગમગીની જોવા મળી રહી છે.
પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી હત્યારાની શોધખોળ શરૂ કરી
બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને જરૂરી પંચનામું કરી રેશ્માબાનુંના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પીયરીયાઓએ હત્યારા પતિ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની અને તેને કઠોર સજા અપાવવાની માંગ કરી છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપી એઝાઝ અહેમદને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો