calendar_todayAugust 30, 2026
Patan: સાંતલપુરના વૌવા ગામમાં શિયાળનો આતંક, 20થી વધુ લોકોને ઈજા, વન વિભાગની તપાસ શરૂ
પાટણ જિલ્લાના સરહદી અને રણકાંઠાના સાંતલપુર તાલુકામાં આવેલ વૌવા ગામમાં વન્ય પ્રાણીના આતંકને પગલે ભારે દહેશત વ્યાપી ગઈ છે. મોડી રાત્રે અને વહેલી સવારના સુમારે એક વન્ય પ્રાણી (શિયાળ) અચાનક ગામમાં ઘૂસી આવ્યું હતું અને ઘરમાં તથા ઘરની બહાર આંગણામાં સૂતેલા ગ્રામજનો પર એકાએક હુમલો કરવાનું શરૂ કર્યું હતું.
સાંતલપુરના વૌવા ગામમાં શિયાળનો આતંક
ઈજાગ્રસ્તના પિતાના જણાવ્યા મુજબ, પ્રાણીએ અચાનક જ આવીને લોકોના માથા, ચહેરા અને શરીરના અન્ય ભાગો પર બચકાં ભરવાનું શરૂ કરી દીધું હતું. આ હુમલામાં વૃદ્ધ મહિલાઓ અને પુરુષો સહિત 20થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ વન્ય પ્રાણીએ માત્ર માનવો જ નહીં પરંતુ ગામમાં બાંધેલા 30થી વધુ પશુઓ પર પણ જીવલેણ હુમલા આચર્યા હતા, જેના કારણે અનેક પશુઓ પણ લોહીલુહાણ થયા છે. ઘટનાને પગલે ચીસાચીસ મચી જતાં ગ્રામજનો ભેગા થઈ ગયા હતા.
20થી વધુ ગ્રામજનો અને 30 પશુઓ પર જીવલેણ હુમલો
હુમલાનો ભોગ બનેલા મોટાભાગના ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધારપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે.3 જેટલા ગ્રામજનોની સ્થિતિ અત્યંત સીરિયસ હોવાથી તેમને વધુ સારવાર અર્થે મહેસાણા અને અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ વૌવા ગામ ખાતે દોડી ગઈ છે. હુમલો કરનાર પ્રાણી શિયાળ છે કે અન્ય કોઈ હડકાયું વન્ય જીવ તે અંગે સત્તાવાર તપાસ હાથ ધરી તેને પાંજરે પૂરવા ચક્રો ગતિમાન કરાયા છે.
આ પણ વાંચો: Gir Somnath: સોમનાથ દાદાને દિવ્ય સૂર્ય દર્શન શૃંગાર; 12 સૂર્યમંદિરોની સ્મૃતિ થઈ તાજી