calendar_todayAugust 30, 2026
PM મોદીએ ‘મન કી બાત’માં કૃષ્ણા શેષાદ્રીના અનોખા પ્રયાસની કરી પ્રશંસા, જાણો શું છે BharatRajya.com
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ કાર્યક્રમ દરમિયાન મુંબઈના કૃષ્ણા શેષાદ્રીના અનોખા પ્રયાસનો ઉલ્લેખ કર્યો અને તેમની સાથે થયેલી વાતચીત દેશવાસીઓ સાથે શેર કરી. આ દરમિયાન પીએમ મોદીએ કૃષ્ણાના કાર્યની પ્રશંસા કરી હતી અને તેમને ચાર મહત્વપૂર્ણ સવાલો પણ પૂછ્યા હતા.
‘મન કી બાત’માં PM મોદીએ કહ્યું, રસપ્રદ રીતે જાણો ભારતનો ઇતિહાસ
‘મન કી બાત’માં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર તેમણે એક પોસ્ટ જોઈ હતી, જેમાં ભારતના ઇતિહાસને રસપ્રદ રીતે સમજાવવાના પ્રયાસની વાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ વિચાર ખૂબ જ સરળ અને રસપ્રદ છે. વેબસાઇટ પર જઈને કોઈપણ એક વર્ષ પસંદ કરી શકાય છે અને તે સમયગાળા દરમિયાન ભારતના કયા વિસ્તારમાં કયા શાસકનું શાસન હતું, તેની માહિતી સરળતાથી મેળવી શકાય છે.
PM મોદીએ વેબસાઇટના નિર્માતા કૃષ્ણા સાથે કરી વાત
પીએમ મોદીએ કહ્યું કે તેમને પણ આ પહેલ ખૂબ જ રસપ્રદ લાગી. ત્યારબાદ તેમણે વેબસાઇટના નિર્માતા કૃષ્ણા શેષાદ્રી સાથે ફોન પર થયેલી વાતચીત વિશે પણ માહિતી આપી. વાતચીત દરમિયાન કૃષ્ણાએ વેબસાઇટ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો અને ભારતીય ઇતિહાસને લોકો માટે સરળ તથા રસપ્રદ બનાવવાની જરૂરિયાત કેમ લાગી તે અંગે વાત કરી હતી.
કૃષ્ણા શેષાદ્રીએ શું ખાસ કર્યું?
મુંબઈના કૃષ્ણા શેષાદ્રીએ ભારતીય ઇતિહાસને સરળ અને રસપ્રદ રીતે સમજાવવાનો અનોખો પ્રયાસ કર્યો છે. તેમણે BharatRajya.com નામની વેબસાઇટ તૈયાર કરી છે. આ વેબસાઇટની મદદથી કોઈપણ વ્યક્તિ પોતાની પસંદગીનું વર્ષ પસંદ કરીને જાણી શકે છે કે તે સમયે ભારતના અલગ-અલગ વિસ્તારોમાં કયા શાસકોનું શાસન હતું. કૃષ્ણા શેષાદ્રીની આ પહેલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બિરદાવી છે. ‘મન કી બાત’ દરમિયાન તેમણે કૃષ્ણા સાથેની પોતાની વાતચીતનો ઉલ્લેખ કરીને તેમના ઇતિહાસને લોકો સુધી સરળતાથી પહોંચાડવાના પ્રયાસની પ્રશંસા કરી હતી.