calendar_todayAugust 27, 2026
Porbandar રેલવે પુલ પર પાટા વચ્ચે ઊંટ ફસાતાં સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો અટવાઈ
પોરબંદર-વાંસજાળીયા રેલવે સેક્શન પર એક અનોખી પરંતુ ગંભીર ઘટના સામે આવી છે. આ રૂટ પર આવેલા બ્રોડગેજ રેલવે પુલ પરથી પસાર થઈ રહેલું એક ઊંટ અચાનક પાટાની વચ્ચે ફસાઈ ગયું હતું. પુલ પર ઊંટ ફસાઈ જવાની જાણ થતાં જ રેલવે તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાના કારણે સલામતીના કારણોસર આ માર્ગ પરનો રેલવે વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો.
રેલવે અને બચાવ ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન
ઘટનાની જાણ થતાં જ રેલવેના ટેકનિકલ અધિકારીઓ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બ્રોડગેજ પુલ પર પાટા વચ્ચે ફસાયેલા ઊંટને કોઈપણ જાતની ઈજા પહોંચાડ્યા વિના સલામત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ટીમ દ્વારા યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
અનેક ટ્રેનો વિવિધ સ્ટેશનો પર રોકી દેવાઈ
આ ઘટનાને પગલે પોરબંદરથી ઊપડતી અને આવતી મુખ્ય ટ્રેનોના શિડ્યુલ પર વિપરીત અસર પડી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોરબંદર-સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (મુંબઈ), પોરબંદર-રાજકોટ અને પોરબંદર-ભાવનગર એક્સપ્રેસ સહિત આ રૂટ પરથી પસાર થતી તમામ પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનોને આસપાસના વિવિધ સ્ટેશનો પર જ રોકી દેવામાં આવી હતી, જેના કારણે મુસાફરોને અગવડતાનો સામનો કરવો પડ્યો હતો.