calendar_todayAugust 13, 2026
Rajkotમાં શ્રાવણના પ્રથમ દિવસે 150 વર્ષ જૂના પંચનાથ દાદાના અદ્ભુત દર્શન, વહેલી સવારથી શિવભક્તોનું મહેરામણ ઉમટ્યું
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે રંગીલા રાજકોટના તમામ શિવાલયો 'હર હર મહાદેવ' અને 'બમ બમ ભોલે'ના જયઘોષથી ગુંજી ઉઠ્યા છે. રાજકોટના હૃદયસમા અને શ્રદ્ધાના કેન્દ્ર ગણાતા પંચનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રાવણ માસની પવિત્ર શરૂઆતે શિવજીના દર્શન અને આશીર્વાદ મેળવીને શિવભક્તો ભાવવિભોર અને ધન્ય બન્યા હતા.
મંદિરમાં જળાભિષેક અને વિશિષ્ટ શણગારનું મહત્વ
રાજકોટ સ્થિત પંચનાથ મહાદેવનું મંદિર અંદાજે 150 વર્ષ જેટલું પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. શ્રાવણ માસ દરમિયાન શિવલિંગ પર જળાભિષેક, દુગ્ધાભિષેક અને બિલિપત્ર અર્પણ કરવાનું વિશેષ ધાર્મિક મહાત્મ્ય રહેલું છે. જેને લઈને ભક્તો લાંબી કતારોમાં ઊભા રહીને મહાદેવની પૂજા-અર્ચના કરતા નજરે પડ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા દિવસભર પંચનાથ દાદાનો વિવિધ મનોહર શણગાર અને વિશિષ્ટ પૂજા-આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
દિવસભર ધાર્મિક ઉત્સવ જેવો માહોલ
શ્રાવણ મહિનાના આ પ્રથમ દિવસે માત્ર પંચનાથ જ નહીં, પરંતુ રાજકોટના તમામ નાના-મોટા શિવ મંદિરોમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે. શિવભક્તોની સુરક્ષા અને સુચારૂ દર્શન માટે મંદિરોમાં વિશેષ બેરિકેડિંગ અને વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મહાદેવની આરાધના, જપ અને તપ માટે રાજકોટ શહેર સંપૂર્ણપણે શિવમય રંગમાં રંગાઈ ગયું છે.