android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Republic Day 2026: 26મી નવેમ્બરે તૈયાર થયેલા બંધારણ માટે કેમ 26મી જાન્યુઆરી સુધી જોવાઇ રાહ, જાણો શું હતુ કારણ?

calendar_todayJanuary 22, 2026

Republic Day 2026: 26મી નવેમ્બરે તૈયાર થયેલા બંધારણ માટે કેમ 26મી જાન્યુઆરી સુધી જોવાઇ રાહ, જાણો શું હતુ કારણ?


પરંતુ ઇતિહાસમાં દર્શાવ્યુ છે કે, બંધારણ 26મી નવેમ્બર 1949ના રોજ તૈયાર થયું હતું. તો તેને લાગુ કરવા માટે 26મી જાન્યુઆરીની રાહ કેમ જોવાઇ હતી?

26મી જાન્યુઆરીએ જ કેમ પ્રજાસત્તાક દિવસની ઉજવણી ?

ભારતના લોકશાહીનો પાયો એટલે આપણું બંધારણ છે. તે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. જેને તૈયાર કરવામાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ લાગ્યા. આ પછી તે 26 નવેમ્બર, 1949 ના રોજ પૂર્ણ થયું હતુ. જો આપણું બંધારણ 26 નવેમ્બરે તૈયાર હતું, તો તેને લાગુ કરવા માટે 26 જાન્યુઆરીની રાહ કેમ જોવી પડી હતી?

'પૂર્ણ સ્વરાજ'નો ઐતિહાસિક ઠરાવ

આ વાર્તા બંધારણ લાગુ થયાના 20 વર્ષ પહેલાં 1929માં શરૂ થાય છે. તે સમયે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ લાહોરમાં પંડિત જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં મળી હતી. આ જ અધિવેશનમાં, કોંગ્રેસે પ્રથમ વખત 'પૂર્ણ સ્વરાજ' પ્રાપ્ત કરવાનો સંકલ્પ લીધો હતો અને અંગ્રેજો પાસેથી પ્રભુત્વનો દરજ્જો અથવા અર્ધ-સ્વતંત્રતાની માંગણી છોડી દીધી હતી. લાહોર અધિવેશનમાં, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે 26 જાન્યુઆરી, 1930 ને સમગ્ર દેશમાં 'સ્વતંત્રતા દિવસ' તરીકે ઉજવવામાં આવશે.

બંધારણના ઘડવૈયાઓનું શું હતુ મત ?

ભારતીયોએ પ્રથમ વખત ત્રિરંગો લહેરાવ્યો અને બ્રિટિશ શાસનથી પોતાને મુક્ત કરવાની પ્રતિજ્ઞા લીધી. 1930 થી 1947 સુધી, 26 જાન્યુઆરીને વાર્ષિક ધોરણે ભારતના પ્રતીકાત્મક સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો. 1947માં જ્યારે ભારતને ખરેખર સ્વતંત્રતા મળી, ત્યારે તે તારીખ 15 ઓગસ્ટ હતી. તેથી, આ દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવાય છે. બંધારણના ઘડવૈયાઓ પંડિત નેહરુ અને ડૉ. બી.આર. આંબેડકર, 26 જાન્યુઆરી પ્રત્યે ઊંડો આદર ધરાવતા હતા. જેણે બે દાયકા સુધી ભારતીયોમાં સ્વતંત્રતાની ભાવનાને જીવંત રાખી હતી.

તારીખો પર કરાયુ મંથન

તેઓ ઇચ્છતા ન હતા કે 26 જાન્યુઆરી જેવી ઐતિહાસિક તારીખ ઇતિહાસના પાનાઓમાં ખોવાઈ જાય. તેથી, એવું નક્કી કરવામાં આવ્યું કે ભલે બંધારણ 26નવેમ્બર 1949ના રોજ ઘડવામાં આવ્યું હતું, તે સત્તાવાર રીતે 26 જાન્યુઆરી, 1950ના રોજ અમલમાં આવશે. જેથી આ દિવસ 'પ્રજાસત્તાક દિવસ' તરીકે કાયમ માટે અમર થઈ જશે. 26 જાન્યુઆરીના રોજ, ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું અને આપણો દેશ પ્રજાસત્તાક બન્યો. ત્યારથી, દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પે કયા દેશો પર સૌથી વધુ ટેરિફ લાદ્યો, ક્યાં ક્રમે છે ભારત?