android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar News: લખતરમાં રક્ષાબંધને બળેવા દોડ અને અનોખા વર્તારો જોવાની લોકપ્રથા આજે પણ અખંડ

calendar_todayAugust 28, 2026

Surendranagar News: લખતરમાં રક્ષાબંધને બળેવા દોડ અને અનોખા વર્તારો જોવાની લોકપ્રથા આજે પણ અખંડ

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજના આધુનિક યુગમાં પણ પ્રાચીન લોકસંસ્કૃતિ અને પરંપરાઓ જીવંત જોવા મળી રહી છે.રક્ષાબંધન એટલે કે બળેવના પવિત્ર તહેવાર નિમિત્તે લખતર તાલુકાના કડુ,આદલસર, લીલાપુર, ઢાંકી અને દેદાદરા જેવા ગામોમાં વર્ષો જૂની બળેવા દોડ અને વર્ષાઋતુના વર્તારાની અનોખી પરંપરા ઉત્સાહભેર ઉજવવામાં આવી હતી.આ પરંપરા અંતર્ગત ચાર પવિત્ર મહિનાઓ – અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસોના નામ પરથી ગામના ચાર યુવાનોને બળેવા તરીકે તૈયાર કરવામાં આવે છે. 

ગામના પાદરે આવેલા તળાવના કિનારે એકઠા થાય છે

બળેવના દિવસે સમસ્ત ગ્રામજનો ગામના પાદરે આવેલા તળાવના કિનારે એકઠા થાય છે.ત્યારબાદ ચારેય યુવાનોના માથા પર માટીની માટલીઓ મુકવામાં આવે છે. આ યુવાનો તળાવમાં ઉતરીને પાંચ પ્રદક્ષિણા કરે છે અને ડૂબકી લગાવે છે.ડૂબકી લગાવ્યા બાદ કયા મહિનાના નામે રહેલી માટલીમાં વધુ પાણી ભરાયું છે અને કઈ માટલીમાં ઓછું, તેના આધારે આવનારા વર્ષમાં કયા મહિનામાં કેવો વરસાદ પડશે તેનો 'વર્તારો' ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવે છે. તળાવમાંથી બહાર આવ્યા બાદ યુવાનો આ માટીની માટલીઓ જમીન પર ફોડે છે.આ માટલીની ઠીકરીઓ અને કાટલીઓ મેળવવા માટે ગ્રામજનોમાં ભારે પડાપડી થાય છે. 

પવિત્ર ઠીકરીઓને અનાજના કોઠારમાં રાખવામાં આવે છે

એવી લોકમાન્યતા છે કે આ પવિત્ર ઠીકરીઓને અનાજના કોઠારમાં રાખવાથી અનાજ બગડતું નથી અને આખું વર્ષ અનાજના ભંડાર ભરેલા રહે છે.આ ઉપરાંત, આદલસર ગામમાં સાંજના સમયે ચરમાળીયા દાદાના મંદિરથી જોગણી માતાના રથની યાત્રા શરૂ કરવામાં આવે છે. ગામની સુખ-શાંતિ અને રોગચાળાથી રક્ષણ માટે રથની સાથે દૂધ અને કાચા દોરાની ગામ ફરતે ધારાવાડી કરવામાં આવે છે. રથ ગામમાં ફેરવ્યા બાદ પાદરે આવીને 'ચાચર' ભરવામાં આવે છે.કડુ ગામમાં ચારેય બળેવાની રોમાંચક દોડ યોજાય છે.આ સ્પર્ધામાં જે યુવાન પ્રથમ ક્રમે આવે છે તેને સમસ્ત ગામ તરફથી 'બળદેવજીના હળ' તરીકે લાકડાનું ખાસ હળ પુરસ્કાર રૂપે આપી સન્માનિત કરવામાં આવે છે.આજના ભૌતિક યુગમાં લુપ્ત થતી જતી આવી પૌરાણિક પરંપરાઓને લખતરના ગ્રામજનોએ આજે પણ પૂરા આસ્થા અને ઉત્સાહ સાથે જાળવી રાખી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News:મહારાષ્ટ્રના રાયગઢમાં CGSTના એડિશનલ કમિશનર સહિત 3ની 40 લાખની લાંચ કેસમાં ધરપકડ