android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar News : ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા 29 લાભાર્થીઓને 7.60 લાખની જામીનગીરી વગર લોનનું વિતરણ કરાયું

calendar_todayJanuary 28, 2026

Surendranagar News : ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા 29 લાભાર્થીઓને 7.60 લાખની જામીનગીરી વગર લોનનું વિતરણ કરાયું

આ કાર્યક્રમમાં સરકારની 'આત્મનિર્ભર ભારત'ની સંકલ્પનાને સાકાર કરતા ૨૯ જેટલા લાભાર્થીઓને કુલ રૂ. ૭.૬૦ લાખની લોન સહાયના ચેક મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં લોન વિતરણની પ્રક્રિયાને વિવિધ તબક્કાઓમાં વહેંચીને સહાય પૂરી પાડવામાં આવી હતી. જે અંતર્ગત પ્રથમ તબક્કાના ૧૪ લાભાર્થીઓને ૧૫,૦૦૦ રૂપિયા લેખે, બીજા તબક્કાના ૮ લાભાર્થીઓને ૨૫,૦૦૦ રૂપિયા લેખે અને ત્રીજા તબક્કાના ૭ લાભાર્થીઓને ૫૦,૦૦૦ રૂપિયાની લોન એનાયત કરવામાં આવી હતી. પીએમ સ્વનિધિ યોજના એ માત્ર આર્થિક મદદ નથી, પરંતુ નાના વેપારીઓના આત્મસન્માનની ગેરંટી છે.

બેંક મારફત કેશબેકની વિશેષ સુવિધા પણ ઉપલબ્ધ કરાવી

સરકારની આ યોજનાની પારદર્શિતા અને પ્રોત્સાહન નીતિ મુજબ, જે વેપારીઓ સમયસર લોનની ચૂકવણી કરે છે તેમને ક્રમશઃ બીજા અને ત્રીજા તબક્કે વધુ રકમની લોન આપવાની જોગવાઈ છે. નગરપાલિકાના DAY-NULM વિભાગના પ્રોજેક્ટ મેનેજર અને સ્ટાફ દ્વારા ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડી ફોર્મ ભરવાથી લઈને લોન મંજૂરી સુધીની પ્રક્રિયા અત્યંત સરળ બનાવવામાં આવી છે. વધુમાં, લાભાર્થીઓને ડિજિટલ ઇન્ડિયા અભિયાન સાથે જોડીને ડિજિટલ વ્યવહાર કરવા બદલ બેંક મારફત કેશબેકની વિશેષ સુવિધા પણ ઉપલબ્ધ કરાવી આર્થિક સુધારાની પ્રક્રિયાને વેગવંતો બનાવવામાં આવ્યો છે.

સત્તાવાર બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવામાં આવ્યા વેપારીઓને

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને લાભાર્થીઓએ વડાપ્રધાનના રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓનું માર્ગદર્શન મેળવ્યું હતું. પી.એમ. સ્વનિધિ–પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના એ કેન્દ્ર સરકારની અત્યંત મહત્વકાંક્ષી યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કોરોના કાળ બાદ આર્થિક સંકડામણ અનુભવતા શેરી ફેરિયાઓ અને નાના લારી-ગલ્લા ધારકોને કોઈ પણ પ્રકારની જામીનગીરી વગર વર્કિંગ કેપિટલ લોન પૂરી પાડવાનો છે. આ પહેલ દ્વારા નાના વેપારીઓને વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરાવી સત્તાવાર બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવામાં આવ્યા છે. લાભાર્થીઓએ સરકારની આ લોકભોગ્ય યોજના બદલ સંતોષ વ્યક્ત કરી રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. આ તકે ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, નગરપાલિકાના સભ્યો, પદાધિકારીઓ તેમજ DAY–NULM યોજનાના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : Ahmedabad News : જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી પણ સુધારણાની પાઠશાળા છે, બંદીવાનોના બાળકોએ શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવ્યું મોટુ સ્થાન