calendar_todayAugust 30, 2026
Una: કાજરડીનો માછીમાર દરિયામાં લાપતા, પાંચ દિવસથી ભાળ ન મળતાં પરિવાર ચિંતાતુર
ઊના તાલુકાના કાજરડી ગામના યુવાન માછીમારી કરવા બોટમાં ગયો હતો. આ યુવાન પાંચ દિવસથી ગુમ થયો હોય પરિવાર ચિંતાતૂર બન્યો છે.
ઊના તાલુકાના કાજરડી ગામના 35 વર્ષીય યુવાન દેવશીભાઈ બાબુભાઈ મકવાણા દીવ-વણાકબારાના નાનજીભાઈ સોલંકીની બોટમાં ખલાસી તરીકે જોડાયા હતા. ગત તા. 19/8ના તેઓ માછીમારી કરવા નીકળ્યા હતા. 27 ઓગસ્ટની વહેલી સવારે માઢવાડથી 11 નોટિકલ માઈલ દૂર દરિયામાં બોટ ઊભી હતી, ત્યારે દેવશીભાઈ અકસ્માતે દરિયામાં પડી ગયા હતા. ટંડેલ અને અન્ય ખલાસીઓએ તેમની ભારે શોધખોળ કરી, પરંતુ તેઓ મળી ન આવતા દીવ ફ્શિરીઝ અને પોલીસમાં ગુમ થયાની સત્તાવાર જાણ કરવામાં આવી હતી.
દીવ તંત્ર દ્વારા કાજરડી ગામના સરપંચને જાણ કરાતા તેમણે આ સમાચાર પરિવારને પહોંચાડયા હતા. આજે પાંચ દિવસ વીતી જવા છતાં દેવશીભાઈની કોઈ જ ભાળ મળી નથી. તેમની પત્ની જમનાબેન, 14 વર્ષની દીકરી વિશ્વા, 11 વર્ષનો પુત્ર હાર્દિક અને 8 વર્ષનો પુત્ર સાહિલ પોતાના પિતાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. પરિવાર અત્યંત ચિંતાતુર છે અને દેવશીભાઈ સહીસલામત વહેલી તકે ઘરે પરત ફરે તે માટે ઈશ્વરને સતત પ્રાર્થના કરી રહ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો