calendar_todayJanuary 23, 2026
Viramgam: શિકાર કરેલા વધુ 38 પક્ષી મળ્યા, 11ના મોત
સુપ્રસિધ્ધ નળસરોવર અભયારણ્ય વિસ્તાર નજીક આવેલા સાંકર ગામ માર્ગે એક ઢાબામાંથી વન સંરક્ષક ટીમે તાજેતરમાં શિકાર કરેલા ત્રણ મૃત પામેલા સિંગપર પક્ષી સાથે ત્રણ વ્યકિતઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. શિકાર કરેલા પક્ષી ધરજી ગામમાંથી લવાયા હતા. જેથી પગેરું મળી આવતા વન સંરક્ષક રેન્જ ફોરેસ્ટ ઓફ્સિર ડી .એમ.સોલંકી, વનપાલ બી. એમ.રબારી,વનપાલ કુ. મોઘીબેન ચૌધરી, વનરક્ષક આર.એસ. કાવિઠિયા, એસઆરપીના જવાનો તેમજ નળસરોવર પોલીસ સ્ટાફ્ ટીમ ધરજી ગામના મેણી વાળા ફ્ળિયામા ત્રણ ઘરો પર ત્રાટકી હતી. ત્રણે ઘરોમાં પક્ષીઓને તેની પાંખો બાંધેલી રાખવામાં આવ્યા હતા. ઘર માલિકો ભાગી ગયા હતા. ટીમે ત્રણે ઘર માંથી વિવિધ જાતિના શિકાર કરી રાખેલા કુલ 38 પક્ષીઓ સાથે શિકાર માટે વપરાતી એક પાંખડ, એક ચાઇનીઝ દોરીની ફિરકી તથા પતંગ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 38 પક્ષીમાંથી એકનુ મૃત્યુ નિપજેલું હતુ. વન સંરક્ષક ટીમે ત્રણે ઘરોને ગામના સરપંચની ઉપસ્થિતિમાં સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ઘરોમાથી મળી આવેલા શિકાર કરેલા પક્ષીઓને સારવાર અર્થે અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તાર સ્થિત વાઈલ્ડ લાઈફ્ કેર સેન્ટર તરફ્ મોકલી આપવામાં આવ્યા હતા. પક્ષીઓને સારવાર મળે તે પહેલા પોહચવા સમય દરમ્યાનમાં વધુ દસ પક્ષી મોતને ભેટયા હતા. જીવિત 27 પંખીઓ સારવાર હેઠળ હોવાનુ જાણવા મળ્યુ છે. વન સંરક્ષક ટીમે ભાગી ગયેલા રમેશ જગાભાઈ પઢાર, સુરેશ જગાભાઈ પઢાર, ધર્મીબેન રમેશભાઈ પઢાર અને વાલાભાઈ જગાભાઈ પઢાર નામના વ્યક્તિઓને દબોચવા માટે ચક્રો ગતીમાન કર્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો