Suratમાં સ્વચ્છતાના સારથિઓનું કોન્ટ્રાક્ટરો દ્વારા શોષણ! જેટીસી કંપનીના કર્મીઓનો હોબાળો
સુરત શહેરને દેશમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમે પહોંચાડનારા સફાઈ કામદારો આજે અન્યાય સામે મેદાને આવ્યા છે. સુરત મહાનગરપાલિકાના ગાર્બેજ કલેક્શનના કામ સાથે સંકળાયેલી જીગર ટ્રાન્સપોર્ટ કંપની (JTC) ના સફાઈ કર્મચારીઓએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ મોરચો માંડ્યો છે. કર્મચારીઓનો ગંભીર આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા તેમને માનવીય ધોરણો કરતા પણ ઓછા પગારમાં 12 થી 14 કલાક જેવું આકરું કામ કરાવવામાં આવે છે. હાલમાં ડ્રાઈવરને માત્ર રૂ. 8500 અને સફાઈ કર્મચારીને રૂ. 7000 જેવો નજીવો પગાર આપી તેમનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે.12થી 14 કલાક કામ કરાવતા હોવાનો આક્ષેપ આ વિરોધનું મુખ્ય કારણ કોન્ટ્રાક્ટરની દાદાગીરી છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ, તેમને કચરામાંથી ફરજિયાત ભંગાર ભેગો કરી લાવવા માટે મજબૂર કરવામાં આવે છે. જો કોઈ કર્મચારી ભંગાર લાવવાની ના પાડે, તો તેને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે અથવા તેની હાજરી પૂરવામાં આવતી નથી. "કામ સફાઈનું છે કે ભંગાર ઉઘરાવવાનું?" તેવા સવાલો સાથે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શોષણની પરાકાષ્ઠા સમાન આ વર્તનને કારણે અનેક પરિવારો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. સફાઈ કર્મીઓ પગાર વધારા માટે આંદોલનની ચીમકી સફાઈ કર્મચારીઓએ માંગ કરી છે કે તેમનો પગાર વધારવામાં આવે અને કામના કલાકો નક્કી કરવામાં આવે. સાથે જ, ભંગાર લાવવા જેવી બિનજરૂરી શરતો અને માનસિક ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે પાલિકા તંત્ર હસ્તક્ષેપ કરે તેવી વિનંતી કરી છે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે, તો સફાઈ કામદારોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. સુરતના ગાર્બેજ કલેક્શનની કામગીરી જો ખોરવાશે, તો શહેરની સ્વચ્છતા પર તેની સીધી અસર પડી શકે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward