Agriculture News : માટીની પ્રાકૃતિક સુગંધ સાથે બદલાયું જીવન, ગઢડાના યોગેશભાઈની પ્રાકૃતિક ખેતીની પ્રેરક સફર
છેલ્લાં 22 વર્ષથી આધુનિક ઢબે ખેતી કરતા યોગેશભાઈએ 2017માં એક હિંમતભર્યો નિર્ણય લીધો અને રાસાયણિક ખેતી છોડીને સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં. શરૂઆતમાં અનેક પ્રશ્નો હતાં જેમાં ઉત્પાદન ઘટશે? ખર્ચ વધશે? પરંતુ સમય જતાં તેમના ખેતરે જ જવાબ આપ્યો. આજે એમનું જીવન સુખ સગવડભર્યું બન્યું છે 50 વીઘાની જમીન પર આજે કપાસ, મગફળી, જીરૂં, તલ, બાજરી, જુવાર, ઘઉં, ચણા અને શાકભાજી લહેરાઈ રહી છે. તેઓ ગર્વથી કહે છે કે “જ્યારે માટી જીવંત બને છે ત્યારે પાક પણ મબલખ આવે છે.” ખાતર અને જંતુનાશક દવાઓ પાછળ થતા 4 થી 4.50 લાખ રૂપિયાના ખર્ચે પરિવારની આર્થિક ગણતરી બગડી જતી. પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પછી એ ખર્ચ એક લાખથી પણ ઓછો થઈ ગયો. દર વર્ષે થતી 3 થી 3.50 લાખની બચતે તેમના બાળકોના શિક્ષણ અને પરિવારના સપનાઓને નવી પાંખો આપી છે. મુત્રમાંથી બનતા પોષક દ્રવ્યો તેઓ ડ્રીપ સિંચાઈ દ્વારા પાકના મૂળ સુધી પહોંચાડે છે યોગેશભાઈએ તેમના ખેતરમાં “અમૃતકુંડ” તૈયાર કરાવ્યું છે જે તેમની સર્જનશીલતાનું પાણીદાર ઉદાહરણ છે. ખેતરમાંથી નીકળતો કચરો, ગાયનું છાણ અને મુત્રમાંથી બનતા પોષક દ્રવ્યો તેઓ ડ્રીપ સિંચાઈ દ્વારા પાકના મૂળ સુધી પહોંચાડે છે. આહિર પરિવારની ગાયો જાણે ખેતીની સહભાગી બની ગઈ છે. તેઓ CVR મેથડ જેવા વૈજ્ઞાનિક વિચારને ગામઠી સમજ સાથે ભેળવી અનોખા પ્રયોગો કરે છે. જમીનમાં ફોસ્ફરસની ઉણપ હોય ત્યારે એરંડાના તેલનો છંટકાવ કરી માટીને જરૂરી શક્તિ આપે છે. યોગેશભાઈની આ સફળતા અને પ્રાકૃતિક કૃષિ પ્રયોગો માત્ર તેમના ખેતર સુધી સીમિત રહ્યાં નથી તેઓ સવારે સૂર્ય ઊગે તે પહેલાં જ બીજા ખેડૂતોને મળવા નીકળી પડે છે. દરરોજ આશરે 40 ખેડૂત મિત્રોને પોતાના ખેતરની મુલાકાત કરાવે છે અને તેમને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી તેની સમજ આપે છે. યોગેશભાઈએ અત્યાર સુધીમાં આશરે 4000થી પણ વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રોત્સાહિત કર્યા છે. ઘણા ખેડૂતો આજે તેમને “ પ્રાકૃતિક ખેતીના ગુરુ” તરીકે સંબોધે છે. હવે તો ગામના વૃદ્ધો પણ કહે છે કે યોગેશભાઈના કારણે ફરી એકવાર માટીમાં જૂના સમય જેવી સોડમ પાછી આવી છે. યુવા ખેડૂતો માટે તેઓ આશાનું કેન્દ્ર બન્યા છે. તેમના શબ્દોમાં, “જો એક ખેડૂત બદલાય, તો આખું ગામ બદલાઈ શકે.” ખેડૂતોને સામાજિક માન અને કૃષિ વિષયક ફાયદાઓ મળી રહ્યાં છે યોગેશભાઈની આ સફર સંઘર્ષ, વિશ્વાસ અને પર્યાવરણ પ્રેમની એવી કહાની છે જે ગઢડા તાલુકા સહિત સમગ્ર બોટાદ જિલ્લાનાં ખેડૂતો માટે સાચો પ્રેરણાસ્ત્રોત બની રહી છે. યોગેશભાઈ આજની યુવાપેઢીને પ્રાકૃતિક કૃષિ અપનાવી ધરતીમાંનું ઋણ અદા કરવાની દિશામાં સાચા પથદર્શક બન્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના ચિંધ્યા માર્ગે આજે બોટાદના ખેડૂતો મોટી સંખ્યામાં પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે. રાજ્યપાલના પ્રાકૃતિક કૃષિ અપનાવવાના આહવાનને ખેડૂતોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને જેના થકી ખેડૂતોને સામાજિક માન અને કૃષિ વિષયક ફાયદાઓ મળી રહ્યાં છે. આ પણ વાંચો : Somnath Templeમાં સ્વાભિમાન પર્વની ઉજવણી કરાશે, જુઓ Video
Read Full Story arrow_forward