calendar_today
January 6, 2026
Opinion:સાત સમંદર પારથી આવતા વિદેશી મહેમાનોનું મનગમતું સરનામુ
ગુજરાતની ધરતી હંમેશા તેની મહેમાનગતિ માટે જાણીતી રહી છે, પરંતુ આ મહેમાનગતિ માત્ર માનવો પૂરતી સીમિત નથી. જ્યારે ઉત્તર ધ્રુવ અને મધ્ય એશિયામાં કકડતી ઠંડી પડવાની શરૂઆત થાય છે, ત્યારે હજારો માઇલનું અંતર કાપીને લાખો વિદેશી પંખીઓ ગુજરાતના જળાશયોને પોતાનું હંગામી આશ્રયસ્થાન બનાવે છે. વર્ષ 2024-25ના તાજેતરના આંકડાઓ પર નજર કરીએ તો જણાય છે કે ગુજરાત ખરા અર્થમાં પક્ષીઓ માટેનું 'સ્વર્ગ' બની ગયું છે.આ વર્ષે રાજ્યના વિવિધ જળપ્લાવિત વિસ્તારોમાં આશરે 8.33 લાખથી વધુ પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે, જે પ્રકૃતિપ્રેમીઓ અને પર્યાવરણવિદો માટે અત્યંત આનંદના સમાચાર છે. સમગ્ર વિશ્વમાં પક્ષીઓની અંદાજે નવ હજાર જેટલી પ્રજાતિઓ અસ્તિત્વ ધરાવે છે, જેમાંથી ભારત 1,200 જેટલી પ્રજાતિઓનું ઘર છે. આશ્ચર્યની વાત એ છે કે ભારતની આ વિવિધતામાં મોટો હિસ્સો ગુજરાતનો છે, જ્યાં 400થી વધુ પ્રજાતિઓ માત્ર પરદેશી પ્રવાસી પંખીઓની જ જોવા મળે છે. સાઇબીરિયાના બરફ આચ્છાદિત મેદાનો હોય, પૂર્વ યુરોપની પહાડીઓ હોય કે પછી મધ્ય એશિયાના રણ પ્રદેશો, આ તમામ વિસ્તારોમાંથી પક્ષીઓ ઊડીને ગુજરાતના નળ સરોવર, થોળ અને ખીજડિયા જેવા વિસ્તારોમાં આવે છે.
ગુજરાતમાં પક્ષીઓના આ આકર્ષણ પાછળ માત્ર કુદરતી સાનુકૂળતા મહત્ત્વનો ભાગ ભજવે છે. જામનગર પાસે આવેલું ખીજડિયા પક્ષી અભયારણ્ય આ વર્ષે પક્ષીઓનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બન્યું છે. અહીં 334 જેટલી વિવિધ પ્રજાતિઓના અંદાજે 3.09 લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે. જ્યારે સૂર્યોદયના પ્રથમ કિરણો ખીજડિયાના પાણી પર પડે છે, ત્યારે કાળી ડોક ઢોંક, ગાજ હંસ, પેણ અને ફ્લેમિંગો જેવા પક્ષીઓનો કલરવ એક અલગ જ દુનિયાનો અહેસાસ કરાવે છે. અહીં માત્ર જળચર પક્ષીઓ જ નહીં, પણ શિકારી પક્ષીઓ જેવા કે ઈગલ, શકરો અને કાઈટ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. ખીજડિયાની વિશેષતા એ છે કે ત્યાં મીઠા અને ખારા પાણીના સંગમ સ્થાને નિર્માણ પામેલી નિવસનતંત્રની વ્યવસ્થા પક્ષીઓને પૂરતો ખોરાક અને સુરક્ષા પૂરી પાડે છે. આ ઉપરાંત, ગુજરાતના ગૌરવ સમાન રાષ્ટ્રીય પક્ષી મોરની વસ્તીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. 2023ના વસ્તી અંદાજ મુજબ રાજ્યમાં મોરની સંખ્યા 2.85 લાખને વટાવી ગઈ છે, જે દર્શાવે છે કે સ્થાનિક પક્ષીઓ માટે પણ ગુજરાત એટલું જ સાનુકૂળ છે.
અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદે આવેલું નળ સરોવર પક્ષી અભયારણ્ય વર્ષોથી યાયાવર પક્ષીઓ માટે ખૂબ જ અગત્યનું સ્થાન રહ્યું છે. 120.82 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ સરોવરને વર્ષ 2012માં રામસર સાઇટનો આંતરરાષ્ટ્રીય દરજ્જો પ્રાપ્ત થયો છે. આ સરોવર સેન્ટ્રલ એશિયન ફ્લાય-વેના રૂટ પર આવતું હોવાથી મધ્ય એશિયાથી આવતા પક્ષીઓ માટે તે પ્રથમ વિસામાનું સ્થળ બને છે. વર્ષ 2024ની ગણતરી મુજબ નળ સરોવરમાં 17થી વધુ પ્રજાતિઓના 4.12 લાખ પક્ષીઓ નોંધાયા છે. તેની નજીક જ આવેલું થોળ પક્ષી અભયારણ્ય પણ પક્ષીઓની પસંદગીમાં પાછળ નથી, જ્યાં 55 હજારથી વધુ પક્ષીઓનો જમાવડો જોવા મળ્યો છે. નળ અને થોળના આ સંયુક્ત વિસ્તારમાં ડૂબકીઓ, પેલિકન્સ, બતક, હંસ અને કુંજ જેવા પક્ષીઓ લાખોની સંખ્યામાં કિલ્લોલ કરતા જોવા મળે છે, જે પ્રવાસન ક્ષેત્રે પણ ગુજરાતની એક નવી ઓળખ ઊભી કરી રહ્યા છે.
મધ્ય ગુજરાતમાં વડોદરા પાસે આવેલું વઢવાણા વેટલેન્ડ પક્ષીઓ માટેનું બીજું એક મહત્ત્વનું કેન્દ્ર બનીને ઉભર્યું છે. વર્ષ 2024-25 દરમિયાન અહીં અંદાજે 54 હજારથી વધુ પક્ષીઓ નોંધાયા છે. વઢવાણાની વિશેષતા એ છે કે અહીં યાયાવર પક્ષીઓની સાથે સાથે સ્થાનિક પક્ષીઓની પણ મોટી સંખ્યા જોવા મળે છે. માઇગ્રેટરી બર્ટ્સમાં ગાજ હંસ, રાજ હંસ, લાલ ચાંચ કારચિયા અને નાની મુરઘાબી જેવા પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બને છે, જ્યારે સ્થાનિક પક્ષીઓમાં ભગવી સુરખાબ અને નાની સિસોટી બતક જેવી જાતિઓ વઢવાણાના આકાશને રંગીન બનાવે છે. આ પક્ષીઓ માત્ર સૌંદર્ય જ નથી વધારતા, પરંતુ તે કૃષિ નિવસનતંત્રમાં જંતુઓનું નિયંત્રણ કરીને પર્યાવરણીય સંતુલન જાળવવામાં પણ મોટો ફાળો આપે છે.
કચ્છનો રણ વિસ્તાર પક્ષીઓના સ્થળાંતરના ઇતિહાસમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. કચ્છને પક્ષીઓ માટેનું 'રિફ્યૂઅલિંગ સ્ટેશન' માનવામાં આવે છે. જ્યારે પક્ષીઓ આફ્રિકા તરફ જવા નીકળે છે, ત્યારે અરબી સમુદ્ર ઓળંગતા પહેલા તેઓ કચ્છમાં રોકાણ કરે છે. આ પક્ષીઓને 'પેસેજ માઇગ્રન્ટ્સ' કહેવામાં આવે છે. વર્ષ 2025ના સપ્ટેમ્બર મહિનામાં હાથ ધરવામાં આવેલી ગણતરીમાં કચ્છમાં અંદાજે 2,564 પક્ષીઓ નોંધાયા હતા. આ ગણતરી એ ભારતની એક મોટી સિટીઝન સાયન્સ પહેલ છે, જેમાં ગુજરાત વન વિભાગ અને બર્ડ કાઉન્ટ ઈન્ડિયા જેવી સંસ્થાઓ સાથે મળીને કામ કરે છે. ગત વર્ષે 17 રાજ્યોના 200થી વધુ પક્ષીપ્રેમીઓએ 51 ટીમો બનાવીને કચ્છના 10 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં સરવે કર્યો હતો. આ સરવેમાં યુરોપિયન રોલર, સ્પોટેડ ફ્લાયકેચર અને બ્લ્યૂ ચેકડ બી ઈટર જેવી દુર્લભ પ્રજાતિઓ નોંધાઈ હતી. આ આંકડાઓ સાબિત કરે છે કે ગુજરાત માત્ર પક્ષીઓનું આશ્રયસ્થાન જ નથી, પરંતુ વૈજ્ઞાનિક સંશોધનો માટે પણ એક જીવંત પ્રયોગશાળા છે.
હાલમાં જ એટલે કે 5મી જાન્યુઆરીએ આપણે રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી કરી. આ ઉજવણી આપણને યાદ અપાવે છે કે પક્ષીઓ વગરનું આકાશ અને પૃથ્વી અધૂરી છે. લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા માટે જનજાગૃતિ અત્યંત અનિવાર્ય છે. ગુજરાત જે રીતે યાયાવર અને સ્થાનિક પક્ષીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની રહ્યું છે, તે જોતા કહી શકાય કે આવનારા સમયમાં રાજ્ય વન્યજીવ પ્રવાસન અને પર્યાવરણ સંરક્ષણના વૈશ્વિક નકશા પર વધુ તેજસ્વી બનીને ઊભરશે. પક્ષીઓનું ગુજરાતમાં આગમન એ માત્ર એક ભૌગોલિક ઘટના નથી, પરંતુ તે ગુજરાતની પર્યાવરણીય સમૃદ્ધિ અને લોકોની પક્ષીઓ પ્રત્યેની આત્મીયતાનું પ્રતીક છે. જ્યારે લાખો પક્ષીઓ એકસાથે પાંખો ફેલાવીને ગુજરાતના આકાશમાં ઊડે છે, ત્યારે તે દ્રશ્ય માત્ર નયનરમ્ય જ નથી હોતું, પરંતુ તે પ્રકૃતિ અને માનવ વચ્ચેના અતૂટ બંધનનો સંદેશ પણ આપે છે. આમ, ગુજરાતના જળપ્લાવિત વિસ્તારો આજે પક્ષીઓના કલરવથી માત્ર ગુંજી જ નથી રહ્યા, પરંતુ તે વિશ્વને જૈવ વિવિધતાના જતનનો એક મજબૂત માર્ગ પણ બતાવી રહ્યા છે.
Read Full Story
arrow_forward