ભરૂચમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાજરા ચોથ પર્વની ઉલ્લાસભેર ઉજવણી
ભરૂચ શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પેઢીઓથી ચાલી આવતી પરંપરા અને માતાજી પ્રત્યેની અખૂટ આસ્થાના પ્રતિક સમાન કાજરા ચોથ પર્વની સોમવારે ભક્તિભાવ અને ધાર્મિક શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી. જય હિંગળાજ માતાના જયઘોષ સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજબંધુઓ જોડાયા હતા.સેવાશ્રામ રોડ પર આવેલા સિંધવાઈ માતાજીના મંદિરે પર્વ નિમિત્તે વહેલી સવારથી ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. અહીં વિધિવત પૂજન, હોમ-હવન સહિતની ધાર્મિક વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી. ત્યારબાદ કાજરાના પ્રતિક અને હિંગળાજ માતાજીના વરઘોડા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. કાજરા ચોથ પર્વ ક્ષત્રિય સમાજની હિંગળાજ માતા પ્રત્યેની શ્રાદ્ધા અને પ્રાચીન પરંપરા સાથે ગાઢ રીતે જોડાયેલો છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન પરશુરામ દ્વારા ક્ષત્રિયોના સંહાર સમયે ક્ષત્રિયોએ જાતિના રક્ષણ માટે હિંગળાજ માતાનો આશ્રય લીધો હતો. માતાજીએ તેમને જીવનનિર્વાહ માટે હાથવણાટનો હુન્નર શીખવ્યો હતો. ત્યારબાદ હાથવણાટથી તૈયાર કરાયેલી પ્રથમ ચૂંદડી માતાજીને અર્પણ કરવામાં આવી હતી. આ પરંપરાની સ્મૃતિરૂપે કાજરા ચોથ ઉજવાતો હોવાનું સમાજના આગેવાનો જણાવે છે.પર્વ નિમિત્તિ સમાજની પરિણીત મહિલાઓએ ઉપવાસ રાખી માતાજીની પૂજા-અર્ચના કરી હતી. શ્રાવણ સુદ અગિયારસથી વિવિધ ઘરોમાં માતાજીના જ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા. શ્રાવણ વદ ચોથના દિવસે માતાજીને બાજટ પર બિરાજમાન કરી ચૂંદડી ઓઢાડવામાં આવી હતી. સિંધવાઈ માતાજીના મંદિરેથી નીકળેલી શોભાયાત્રા કબીરપુરા અને ખત્રીવાડ વિસ્તારમાં ફરી હતી. પરંપરા મુજબ કબીરપુરામાં વિવિધ સમાજના લોકોના ઘરે કાજરાના પ્રતિકનું નમન કરાવવામાં આવ્યુ હતુ. અંતે શોભાયાત્રા બરાનપુરા-ખત્રીવાડ સ્થિત હિંગળાજ માતાજીના મંદિરે પહોંચી હતી. અહીં ધાર્મિક વિધિ બાદ કાજરાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી અને પવિત્ર નર્મદા નદીમાં કાજરાનું વિસર્જન કરવામાં આવ્યુ હતુ. સમગ્ર આયોજન દરમ્યાન ભરૂચમાં ભક્તિ, શ્રાદ્ધા અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward