Palej: પાલેજ રેલવે સ્ટેશન પર બે વર્ષથી ફૂટ ઓવર બ્રિજની કામગીરી અધૂરી
પાલેજ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજ (એફઓબી)ની કામગીરી બે વર્ષ કરતાં વધુ સમયથી અધૂરી હોવાને કારણે મુસાફરો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો તેમજ સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૂનો બ્રિજ હટાવ્યા બાદ નવો બ્રિજ બનાવવાની કામગીરી લાંબા સમયથી અધવચ્ચે અટકી રહેતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, નવો ફૂટ ઓવરબ્રિજ બનાવવાની કામગીરીને લાંબો સમય વિતી ગયો છે. પરંતુ હજી સુધી કામ પૂર્ણ થયું નથી. આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સંબંધિત તંત્ર તરફથી માત્ર આશ્વાસનો જ મળતાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. બ્રિજની સુવિધા ઉપ્લબ્ધ ન હોવાથી હેક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટ ફોર્મ પર જવા માટે મુસાફરોને રેલવે ટ્રેક ક્રોસ કરવાની ફરજ પડી રહી છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો માટે આ પરિસ્થિતી અત્યંત જોખમી બની છે. કોઈ ગંભીર અકસ્માત સર્જાય ત્યાર બાદ જ તંત્ર જાગશે કે શું ? તેવો પ્રશ્ન સ્થાનિકો ઉઠાવી રહ્યાં છે. પાલેજ તથા આસપાસના વિસ્તારોમાંથી રોજિંદા ધોરણે અપડાઉન કરતાં નોકરિયાતો અને વિદ્યાર્થીઓને ટ્રેન પકડવા માટે ભારે દોડધામ કરવી પડે છે. પ્લેટફોર્મ બદલવાની મુશ્કેલીને કારણે ઘણી વખત મુસાફરો ટ્રેન ચુકવી જવાની સ્થિતી ઉભી થાય છે. રેલવે લાઈનની બન્ને બાજુ આવેલાં વિસ્તારો વચ્ચેની અવરજવર પર પણ બ્રિજના અભાવે અસર પડી રહી છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યાનુસાર, લોકોની અવરજવર મુશ્કેલ બનતા બજાર અને વેપાર-ધંધા પર પણ તેની માઠી અસર પડી રહી છે. સ્થાનિકોમાં એવો પણ રોષ છે કે, ચૂંટણીના સમયે મત માંગવા આવતાં રાજકીય આગેવાનો દ્વારા આ મૂળભૂત પ્રશ્નના કાયમી ઉકેલ માટે પૂરતું દબાણ કરવામાં આવતું નથી. જો સામાન્ય મુસાફરોની સુરક્ષા સાથે જોડાયગેલો બ્રિજ બે વર્ષથી અધૂરો છે તો જવાબદારી કોની? હવે સ્થાનિકો દ્વારા રેલવે તંત્ર અને સંબંધિત અધિકારીઓ પાસે ફૂટ ઓવરબ્રિજનું કામ તાત્કાલિક પૂર્ણ કરી મુસાફરોને સુરક્ષિત અવરજવરની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward