ધંધૂકા ઘરડા ઘર પાસેની સોસાયટીના રહીશો ગંદા પાણીમાંથી ચાલવા મજબૂર
ધંધૂકા । (સં.ન્યૂ.સ)અમદાવાદ જિલ્લાના તાલુકા મથક ધંધૂકામાં પવિત્ર શ્રાવણ માસમાં એક તરફ્ શિવભક્તો ભગવાન ભોળેનાથની ભક્તિમાં લીન છે, ત્યારે ધંધુકા શહેરના ઘરડા ઘર નજીકથી વિવિધ સોસાયટીઓ તરફ્ જતા મુખ્ય માર્ગ પર ગટરનું ગંદુ પાણી ફરી વળતા સ્થાનિકો અને રાહદારીઓ માટે મુશ્કેલી સર્જાઈ છે. રસ્તા પર ગટરનું પાણી અને બિસ્માર માર્ગના કારણે જાણે ગટરના પાણીમાંથી પસાર થવાની સ્થિતિ સર્જાઈ છે. તેમજ હાલમાં બેવડી મોસમમાં પાલિકાની બેદરકારીથી રહેણાંક વિસ્તારમાં નર્કાગારની સ્થિતિથી રોગચાળો ત્રાટકવાની ભીતિ સ્થાનિક રહીશોમાં પ્રર્વતે છે.છેલ્લાં ઘણા સમયથી માર્ગ પર ગટર છલકાવાની સમસ્યા હોવાના કારણે ગંદુ પાણી રોડ પર જ ઉભરાઈ રહ્યું છે. શ્રાવણ માસ દરમિયાન આ માર્ગ પરથી પસાર થતા શિવભક્તો સહિત સ્થાનિક રહેવાસીઓને પણ ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેમાંય ગટરનું પાણી સતત રોડ પર ઉભરાતું હોવાથી માર્ગની હાલત પણ વધુ બિસ્માર બની રહી છે. ગંદકી, દુર્ગંધ અને બિસ્માર રસ્તાની ત્રિપલ સમસ્યાથી રાહદારીઓ તેમજ વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને પગપાળા પસાર થતા લોકો અને સ્થાનિક રહેવાસીઓ માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ સમસ્યા અંગે પાલિકા તંત્ર દ્વારા કાયમી ઉકેલ માટે જરૂરી કામગીરી કરવામાં આવતી ન હોવાના કારણે સમસ્યા યથાવત છે. વારંવાર ગટર છલકાવાની સમસ્યાના કારણે લોકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ માંગ કરી છે કે, માત્ર ગટરનું પાણી દૂર કરવાની કામચલાઉ કામગીરીને બદલે ગટર વ્યવસ્થાની યોગ્ય તપાસ કરી કાયમી ઉકેલ લાવવામાં આવે તેમજ બિસ્માર બનેલા માર્ગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે. પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો અને નગરજનોને ગંદા પાણીમાંથી પસાર થવાની નોબત ન આવે તે માટે પાલિકા તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી લોક માંગ ઉઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward